ઉત્તરાખંડમાં ધોલી ગંગા નદી ઉપર તપોવન વિષ્ણુગઢ જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાં ફસાયેલા 30થી 35 મજૂરોને બચાવવા માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. ઉતરાખંડના ચમોલી જિલ્લાના ઋષિગંગા ખીણમાં હિમશીલા તુટી પડવાને કારણે, અલકનંદા સહીતની સ્થાનિક નદીમાં પ્રચંડ પૂર આવ્યુ હતું. જેના કારણે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ હતી. જાનમાલને પણ ભારે નુકસાન થયુ હતું.
જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાં કામ કરતા 30થી 35 મજૂરો ફસાઈ ગયા હતા. જેમને કાઢવા માટે સતત પ્રયાસ કરાઈ રહ્યાં છે. પ્રચંડ પૂરના કારણે સુરંગમા કાદવ ભરાઈ ગયો છે. જે કાઢવા માટે સેના, ITPB, NDRF,વાયુસેના, SDRFના જવાનો સતત કામ કરી રહ્યાં છે. બચાવ અને રાહત કામગીરી ક્યા સુધી ચાલશે તે કહેવુ મુશ્કેલ છે તેમ NDRFના ડીજી એસ. એન. પ્રધાનનું કહેવુ છે. રસ્તો ખુબ જ મુશ્કેલ હોવાથી કામગીરીમાં તકલીફ પડી રહી હોવાનું જણાવ્યુ હતું. જોશીમઠ સુધી માત્ર બે જ ટીમ પહોચી શકે તેવી શક્યતા હતી. જો કે બાકીની ટીમને એરલિફ્ટ કરીને પહોચાડવામાં આવી હતી. જો કે હજુ પણ 24થી 48 કલાક સુધી બચાવ અને રાહત કામગીરી ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.