
દેશમાંથી કોરોના સંપૂર્ણ પણે નાબૂદ થયો નથી. ભારતમાં દરરોજ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જો દેશમાં એકટિવ કેસની વાત કરવામાં આવે તો હાલમાં બધા જ રાજ્યોમાં મળીને કુલ 256 કેસ છે. આજે એટલે કે 31 ઓક્ટોબરે 23 નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 5,33,293 લોકોના મોત થયા છે. કોરોનાની સારવાર પૂર્ણ કર્યા બાદ કુલ 44467751 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ICMR દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે, જે લોકો કોરોનાના સમયગાળા દરમિયાન ગંભીર રીતે સંક્રમિત હતા, તેવા લોકોને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અધ્યયનને ટાંકીને જણાવ્યું કે, જે લોકોને ગંભીર કોરોનાનો સામનો કરવો પડ્યો હતો તેવા લોકોએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી બચવા માટે એક-બે વર્ષ સુધી વધારે શ્રમ કરવો જોઈએ નહી.
ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તાજેતરમાં ઘણા લોકોના મોત થયા છે. ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન ગરબા રમતી વખતે ઘણા લોકોને સમસ્યા આવી હતી અને જીવ ગુમાવ્યો હતો. આવા કેસ સામે આવ્યા બાદ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે કાર્ડિયોલોજિસ્ટ સહિત તબીબી નિષ્ણાતો સાથે મીટિંગ કરવી પડી હતી.
આ પણ વાંચો : વીડિયો: નોઈડામાં કૂતરા બાબતે ફરી વિવાદ! લિફ્ટમાં લઈ જવા પર મહિલા અને નિવૃત્ત IAS અધિકારી વચ્ચે ઝપાઝપી
ગુજરાતના આરોગ્ય મંત્રીએ તબીબી નિષ્ણાંતોને મૃત્યુનું કારણ અને સારવાર શોધવા માટે ડેટા એકઠા કરવા માટે કહ્યુ હતું. ત્યારબાદ ICMR દ્વારા વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો. અધ્યયન બાદ એવું તારણ જાણવા મળ્યુ કે, જે લોકો ગંભીર કોવિડ ચેપથી પીડિત હતા. તેઓએ પોતાની જાતને વધુ પડતી મહેનતથી દૂર રાખવી જોઈએ. તેઓએ હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી ટૂંકા ગાળા માટે વધારે કસરત અને દોડવાનું ટાળવું જોઈએ.