તાજમહેલનો વાસ્તવિક ઈતિહાસ જાણવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં માંગ કરવામાં આવી છે કે આ સંબંધમાં ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમને આદેશ આપવામાં આવે, જેથી તાજમહેલ ખરેખર કોણે બનાવ્યો તે જાણી શકાય. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાજમહેલ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેમાં હાઈકોર્ટે અરજીકર્તાને સંશોધન કરીને આવવા કહ્યું હતું.
અરજીકર્તા ડૉ. રજનીશ સિંહે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, જોકે એવું કહેવામાં આવ્યું છે કે, તાજમહેલ શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલ માટે બનાવ્યો હતો, જે 1631 અને 1653ની વચ્ચે 22 વર્ષમાં પૂરો થયો હતો. આ સાથે અરજદારે કહ્યું કે, પરંતુ તેને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ડૉક્ટર રજનીશે અલ્હાબાદ હાઈકોર્ટના 12 મેના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દાઓ ન્યાયિક રીતે નક્કી નથી.
અગાઉ, અરજદારે NCERT અને સેન્સસ સર્વે ઓફ ઈન્ડિયામાં RTI દાખલ કરી હતી પરંતુ તેમને ત્યાંથી કોઈ નક્કર જવાબ મળ્યો ન હતો. NCERTએ તેના જવાબમાં કહ્યું હતું કે, શાહજહાં દ્વારા બાંધવામાં આવેલા તાજમહેલને લઈને ઘણા પ્રાથમિક સ્ત્રોત નથી. અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં અરજદારે તાજમહેલના 22 રૂમને અભ્યાસ અને સંશોધન માટે ખોલવાનો આદેશ જાહેર કરવાની પણ માંગ કરી હતી. એટલું જ નહીં, તેણે ‘મુઘલ આક્રમણકારો’ દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક સ્મારકોને પણ ઐતિહાસિક હોવાનો પડકાર ફેંક્યો હતો.
જો કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે તાજમહેલનો વાસ્તવિક ઇતિહાસ જાણવા માટે જ આદેશ જાહેર કરવાની માંગ કરી છે. અરજદારની મૂળભૂત માંગ છે કે કોર્ટે આદેશ જાહેર કરવો જોઈએ અને એક ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ બનાવવી જોઈએ, જે તાજમહેલનો વાસ્તવિક ઈતિહાસ શું છે તે શોધી કાઢે. અરજદારે કહ્યું કે ASI વર્લ્ડ હેરિટેજ સાઈટ તાજમહેલનો સાચો ઈતિહાસ કહેવાની સ્થિતિમાં નથી.