ભારતીય સેનાએ પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇંડ ગણાતા અને જૈશ એ મોહમ્મદ (JEM)ના ટૉપ કમાંડર ગાઝી રશીદને ઠાર કરી દીધો છે. ગાઝી ઉપરાંત વધુ એક આતંકવાદી કામરાનને પણ ઢેર કરી દેવાયો છે.
જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહરના ભત્રીજાના મોતનો બદલો લેવાની જવાબદારી મસૂદે ગાઝીને સોંપી હતી અને એટલા માટે જ ગાઝીએ પુલવામા આતંકી હુમલાનું કાવતરું રચ્યું. જોકે ગાઝીને ઢેર કરવા 100 કલાક ચાલેલા એનકાઉન્ટરમાં ભારતે એક મેજર સહિત 4 જવાનો ગુમાવવા પડ્યા.
ભારતીય સેનાએ ગયા વર્ષે ત્રાલમાં એક એન્કાઉન્ટરમાં મસૂદ અઝહરના ભત્રીજા અને સ્નાઇપર આતંકવાદીને ઠાર કર્યો હતો. ત્યાર બાદ જૈશે પોતાના ટૉપ કમાંડર અને IED એક્સપર્ટ ગાઝી રશીદને બદલો લેવા માટે કાશ્મીર મોકલ્યો હતો. ગાઝી કથિત રીતે ઘુસણખોરી કરી દક્ષિણ કાશ્મીર પહોંચવામાં સફળ રહ્યો હતો.
એવું કહેવાયું હતું કે ગાઝી પોતાના બે સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં ભારતમાં ઘુસ્યો હતો અને દક્ષિણ કાશ્મીરમાં સંતાઈ ગયો હતો. ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા મુજબ આ પહેલા રત્નીપુરા ગામે થોડાક જ દિવસ પહેલા થયેલી અથડામણમાં ગાઝી રશીદ કોઈ રીતે ભાગી નિકળવામાં સફળ થયો હતો.
સલામતી દળોએ પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇંડ ગાઝીના પંપોરથી પુલવામા વચ્ચે 25 કિલોમીટર વિસ્તારમાં છુપાયો હોવાની શંકા હતી. તેથી સેનાએ ગઈકાલે રાત્રે 12 વાગ્યથી ઑપરેશન 25 શરુ કર્યુ હતું. આ ઑપરેશનમાં 55 રાષ્ટ્રીય રાઇફલ, સીઆરપીએફ અને એસઓજીના જવાનો જોડાયા હતાં. અથડામણ દરમિયાન મેજર સહિત 4 જવાનો શહીદ થઈ ગયાં, પરંતુ ગાઝીને અંતે કબ્રસ્તાનનો રસ્તો બતાવવામાં સફળતા મળી ગઈ.
સલામતી દળોએ મોટી કાર્યવાહી કરતા તે બિલ્ડિંગને જ બૉંબ બ્લાસ્ટ કરી ઉડાડી દીધી કે જેમાં આતંકવાદીઓ છુપાયેલા હતાં. આ બિલ્ડિંગમાં બે આતંકવાદીઓ હતા કે જેમાં કહેવાય છે કે ગાઝી અને કામરાનનો સમાવેશ થાય છે.
ગાઝીએ વર્ષ 2008માં જૈશ એ મોહમ્મદ જૉઇન કર્યુ હતું અને તાલિબાનમાં ટ્રેનિંગ લીધી હતી. 2010માં તે ઉત્તર વઝીરિસ્તાન આવી ગયો હતો. ટ્રેનિંગ લીધા બાદ ગાઝી આતંકની દુનિયામાં જોડાઈ ગયો. થોડાક જ સમય બાદ તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વિસ્તારોમાં યુવા લડાકાઓને આતંકી ટ્રેનિંગ આપવાની શરુ કરી દીધી હતી.
Published On - 6:41 am, Mon, 18 February 19