રાજપથ પર યોજાયેલી ગણતંત્ર દિવસની પરેડમાં ‘સૂર્ય દેવના તેજ છે અદકેરા’ કવિતા સાથે ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરાઈ. ગુજરાત તરફથી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિરની ઝાંખીને પ્રસ્તૂત કરવામાં આવી હતી. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ઉજાગર કરવામાં આવી. લગભગ 60 જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી આ ઝાંખીને સજાવી હતી. ઝાંખી પર અગ્રણી શિલ્પકારોએ ફાયબર કાસ્ટિંગ દ્વારા સૂર્ય મંદિરનું હૂબહૂ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધૌલપુર સ્ટોન ટેક્સચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલઇડી ફ્લડ લાઇટના માધ્યમથી ઝાંખીનું આ સૂર્ય મંદિર પ્રકાશમાન છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે, જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિ તોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે. મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખીની સાથે 12 મહિલા કલાકાર ટિપ્પણી નૃત્યની પ્રસ્તુતિ આપી હતી.