
મુંબઇગરાં માટે થોડા ચિંતાજનક સમાચાર છે. સમાચાર છે મુંબઇમાં મેઘરાજાના મોડા આગમનના. હવામાનની આગાહી કરનારી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં સૂત્રોએ એવી આગાહી કરી હતી કે મુંબઇમાં ૨૦૧૯નું નૈઋત્યનું ચોમાસુ એકાદ સપ્તાહ મોડું એટલે કે ૧૪-૧૫ જૂને શરૂ થાય તેવાં કુદરતી પરિબળો છે. બીજી તરફ ભારતીય હવામાન ખાતાએ મુંબઇમાં ચોમાસાના આગમન વિશે કોઇ જ સત્તાવાર આગાહી નથી કરી. સામાન્ય રીતે મુંબઇમાં નૈઋત્યના ચોમાસાનું આગમન 10 જૂનેથાય છે. ૨૦૧૮માં મુંબઇમાં મેઘરાજાની સવારી ૯ જૂને થઇ હતી.
આ પણ વાંચોઃ અજય દેવગણના એક ચાહકે કહ્યું કે તમાકુની જાહેરાત ન કરો, જવાબ આપતા અજયે કહી આવી વાત
સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ કેરળમાં ૪ જૂને બેસે એવાં કુદરતી પરિબળો છે. આમ છતાં નૈઋત્યના ચોમાસાની સમગ્ર સિસ્ટમને જૂનના પ્રથમ સપ્તાહમાં મજબૂત બનાવતાં કુદરતી પરિબળો બરાબર સક્રિય નથી થયા એવો સંકેતો પણ મળી રહ્યા છે. આ જ મંદ પરિબળોને કારણે મેઘરાજાની સવારી મુંબઇ સુધી એકાદ સપ્તાહ મોડી આવે તેવી શક્યતા છે.
એવી આગાહી છે કે હાલ અલ-નીનોનું પરિબળ વધુ સ્ટ્રોંગ છે. અલ-નીનોના આ પરિબળને કારણે જૂન-જૂલાઇ દરમિયાન મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઓછો વરસાદ થાય તેવી પણ શક્યતા છે. આમ છતાં અલ-નીનો જૂલાઇ-ઓગસ્ટમાં મંદ થશે એટલે ચોમાસાના પરિબળો વધુ સક્રિય બનશે અને સારો વરસાદ થશે.