Mission Oxygen : કોરોનાના દર્દીઓ માટે ફરી એકવાર રાહતના શ્વાસ લઇને આવી વાયુસેના

|

May 11, 2021 | 7:35 PM

ઇન્ડિયન એરફોર્સનું A C-17 aircraft બે ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર (cryogenic oxygen tankers) લઇ આગ્રાથી જામનગર પહોંચ્યુ હતુ.

ભારતીય વાયુસેના વધુ એક વાર કોરોનાના દર્દીઓ માટે રાહતના શ્વાસ લઇને આવી છે. હવે ઇન્ડિયન એરફોર્સનું A C-17 aircraft બે ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર (cryogenic oxygen tankers ) લઇ આગ્રાથી જામનગર પહોંચ્યુ હતુ. આ જ પ્લેનમાં બીજા બે ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરને ગ્વાલિયરથી રાંચી પણ પહોંચાડવામાં આવ્યા હતા. આ એરક્રાફ્ટે 10 તારીખે આગ્રાથી ઉડાન ભરી હતી. જામનગર અને રાંચી એમ બંને જગ્યાએ ઓક્સિજન ટેન્કર પહોંચાડીને સવારે 7.30 વાગ્યે ફરીથી આગ્રામાં લેન્ડ થયુ હતુ

દેશ પર જ્યારે પણ કોઇ સંકટ આવે છે ત્યારે દેશની સેના મદદે આવે છે. પૂર હોય કે ભૂકંપ, કુદરતી આફત હોય કે આતંકવાદી હુમલો દેશની સેના હંમેશા પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોનો જીવ બચાવે છે. હાલમાં દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે ઓક્સિજનની અછત સૌથી મોટી સમસ્યા છે. કારણ કે અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે. તો ક્યાંય સપ્લાયની સમસ્યા થઈ રહી છે. આ મહામારીના મહાસંકટમાં પણ વાયુસેનાએ મોર્ચો સંભાળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એરફોર્સ ઓક્સિજન કંટેનર્સને એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચાડવામાં જોડાયુ છે.

જ્યારથી દેશમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે ત્યારથી વાયુસેના યુધ્ધના ધોરણે ઓક્સિજનની એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી રહી છે. આની પહેલા પણ વાયુસેના ઘણી બધી જગ્યાએ ઓક્સિજન પહોંચાડી ચૂકી છે. આ પહેલા વાયુસેનાએ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં કોવિડ ટેસ્ટિંગ સેટઅપને પહોંચાડ્યુ હતુ જેથી ટેસ્ટિંગની પ્રક્રિયામાં કોઈ પ્રકારની અડચણ ન આવે. ઉલ્લેખનીય છે કે દેશમાં અનેક રાજ્યોની હોસ્પિટલો ઓક્સિજનની અછતનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારનું કહેવું હતુ કે ઓક્સિજનની અછત નથી. પરંતુ તેના સપ્લાય અને ટ્રાંસપોર્ટેશનમાં ઘણી સમસ્યા આવી રહી છે. માટે આ કામ વાયુસેનાને સોંપવામાં આવ્યુ જેથી કરીને ટ્રાંસપોર્ટેશન ઝડપથી થઇ શકે.

પહેલા પણ વાયુસેના પહોંચાડી ચૂકી છે ઓક્સિજન

વાયુસેનાના C-17 એ ઝેઓલાઇટ (મેડીકલ ઓક્સિજનનો કાચો માલ) ફ્રેન્કફર્ટથી મુંબઇ પહોચાડ્યો હતો. અન્ય બે C-17, ફ્રાન્સના બોર્ડ ઓક્સથી ઓક્સિજન જનરેટર્સને હિંડન એરબેઝ પર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને ઇઝરાઇલથી રિસ્પેરેટર્સને હિંડન એરબેઝ પર લઇને આવ્યા હતા.

ભારતમાં વાયુસેનાના C-17 એરક્રાફ્ટ દ્વારા 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ પુણેથી જામનગર, 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ ગ્વાલિયર અને ભોપાલથી રાંચી અને હિંડનથી રાંચી સુધી 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા.

Published On - 7:28 pm, Tue, 11 May 21

Next Video