કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલા નિયમોને લઈને શાળા અને કોલેજ છેલ્લા ચાર મહિનાથી બંધ છે. નવા શૈક્ષણિક સત્રમાં શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. જેની સામે ઊભા કરાયેલા કેટલાક સવાલોને ધ્યાને લઈને કેન્દ્રીય માનવ સંસાઘન વિકાસ વિભાગે ઓનલાઈન શિક્ષણ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ પ્રિ પ્રાયમરીમાં ભણતા નાના બાળકોને માત્ર અડધો કલાક જ ઓનલાઈન શિક્ષણ અપી શકાશે. જ્યારે ધો, 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 45 મિનીટના એક એવા બે સમયગાળાનુ એટલે કે કુલ 90 મીનીટ જ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. જ્યારે ધો. 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, 30થી 45 મિનીટના એક એવા કુલ ચાર સમયગાળા એટલે કે બેથી ચાર કલાક જ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે.
દિવાળી સુધી શાળા-કોલેજ બંધ રહેશે ?
હાલ સમગ્ર દેશમાં 16 માર્ચથી શાળા અને કોલેજો સંપૂર્ણ બંધ છે. કોરોના વાયરસને કારણે 240 મિલીયન બાળકો શાળા-કોલેજ જઈને શિક્ષણ મેળવી શકે તેમ નથી. જે રીતે કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે તે જોતા આગામી દિવાળી સુધી શાળાઓ શરુ થાય તેવી કોઈ જ શક્યતા ન હોવાનું શિક્ષણ સાથે જોડાયેલા અગ્રણીઓનું કહેવુ છે.