
ગૌહાટી એરપોર્ટ પર નમાઝ અદા કરવા માટે અલગ રૂમ બનાવવાની માંગ ઉઠી હતી. જેને સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોચ્યોં હતો. ત્યારે આ મામલા પર ગૌહાટી હાઈકોર્ટ ગુસ્સે થઈ ગઈ છે અને હાઈકોર્ટે કહ્યું કે નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ અને ત્યાં જઈને નમાઝ અદા કરો. આ સાથે તેમણે કહ્યું કે જો નમાઝ માટે એરપોર્ટ પર અલગ જગ્યા કે રુમ બનાવવામાં નહીં આવે તો સમાજને શું નુકસાન જશે? તમારા કયા અધિકારોનું ઉલ્લંઘન થયું છે? આ સાથે કોર્ટે જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. આવી અરજીઓ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાણા સુદૈર ઝમાન નામના વ્યક્તિએ હાઈકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરીને ગુવાહાટી એરપોર્ટ પર નમાઝ માટે અલગ રૂમ બનાવવાની માંગ કરી હતી. ગુહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ સુસ્મિતા ફુકન ખાઉંડની ખંડપીઠે 29 સપ્ટેમ્બરે આ મામલાની સુનાવણી કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે અરજદારને પૂછ્યું કે બંધારણમાં એ અધિકારનો ક્યાં ઉલ્લેખ છે કે તમામ જાહેર સ્થળોએ ‘પ્રાર્થના ખંડ કે નમાઝ અદા કરવા માટે રુમ’ હોવો જોઈએ?
કોર્ટે એમ પણ કહ્યું કે સરકારે કેટલાક એરપોર્ટ પર પ્રાર્થના રૂમ બનાવ્યા છે. શું આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે તમામ જાહેર સ્થળોએ પ્રાર્થના રૂમ હોવા જોઈએ? કોર્ટે વધુમાં પૂછ્યું કે તો પછી માત્ર એરપોર્ટ પર જ શા માટે? દરેક જાહેર સ્થળે કેમ નહીં? શું આવી માંગણી કરવી એ મૂળભૂત અધિકાર છે? જો તમારે નમાઝ અદા કરવી હોય તો તેના માટે મસ્જિદ છે. ત્યાં જઈને નમાઝ અદા કરી શકો છો.
આ પછી અરજીકર્તાએ કહ્યું કે ધૂમ્રપાન, સ્પા અને રેસ્ટોરન્ટ માટે નિયમો છે તો નમાઝ અદા કરવાને લઈને કેમ નહીં. નમાઝ માટે અલગ રૂમ પણ હોવો જોઈએ. તેના પર હાઈકોર્ટે કહ્યું કે ધૂમ્રપાન માટે અલગ રૂમ બનાવવામાં આવે છે જેથી અન્ય લોકોને તેની અસર ન થાય.