Farmer Protest: ભારતમાં કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધને (Farmer Protest) લઈને China એ ઝેર ઓકયું છે. ચીને કહ્યું કે જે રીતે છેલ્લાં 1-2 દાયકામાં વિશ્વના કેટલાક દેશોમાં જે રીતે સત્તા પલટ, અસ્થિરતા કે સરકાર સામેના બળવાઓના દ્રશ્યો જોવા મળ્યા તેવા જ દ્રશ્યો ભારતમાં પણ સર્જાય તેવા સપના ચીન સેવી રહ્યું છે. 26 મી જાન્યુઆરીએ દિલ્લીમાં થયેલી હિંસાને લઈને થતી અફવાઓ રોકવા માટે NCRના અમુક ભાગમાં કરેલા હંગામી ઈન્ટરનેટ બંધને ચીને મોદી સરકારનો ડર ગણાવ્યો હતો. ચીની અખબાર Global Times ના એક અહેવાલ છપાયો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મોદી સરકારને અસ્થિર થવાનો ડર છે.
ગ્લોબલ ટાઇમ્સમાં, સિન્હુઆ યુનિવર્સિટીના રાષ્ટ્રીય વ્યૂહરચના સંસ્થાના સંશોધન વિભાગના ડિરેક્ટર કિયાન ફેંગે લખ્યું છે કે ભારતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. તેના જવાબમાં ભારત સરકારે નવી દિલ્હીની આજુબાજુના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું, જ્યાં ખેડુતો નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ હોંગકોંગમાં વિરોધ પ્રદર્શનને કચડી નાખનાર ચીને ભારતમાં ખેડુતોની શાંતિપૂર્ણ ચળવળની સરખામણી વિશ્વની હિલચાલ સાથે કરી છે જ્યાં વર્ષોથી હિંસક અને બળવા પ્રદર્શન થયા છે.
લેખમાં જણાવાયું છે કે ભારતીય ખેડુતોના વધતા દેખાવોને લઈને મોદી સરકારે સામાજિક સ્થિરતા અને શાસનના પાયા પરની અસરને રોકવા માટે ઇન્ટરનેટ, મીડિયા નિયંત્રણને સ્થગિત કરવાની રીત પસંદ કરી છે. અભિવ્યક્તિની આઝાદીથી માંડીને માનવાધિકાર સુધીની તમામ બાબતોને કચડી નાખનાર ચીને કાયદા અને વ્યવસ્થા પરના પ્રસંગોપાત ઇન્ટરનેટ પ્રતિબંધને અતિશયોક્તિ કરતાં કહ્યું છે કે ભારત સરકાર વિરોધને રોકવા માટે ઇન્ટરનેટ પ્રદર્શનોનો વારંવાર ઉપયોગ કરે છે. વિશ્વના અન્ય દેશોની જેમ, ભારતમાં પણ મોટાભાગના પ્રદર્શનનું સંચાલન સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત ઇન્ટરનેટ પર પ્રતિબંધ બતાવે છે કે મોદી સરકાર પાસે આવી કટોકટીઓને પહોંચી વળવા કોઈ વિકલ્પો નથી. તે ફક્ત ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી શકે છે.
ગ્લોબલ ટાઇમ્સે કહ્યું છે કે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ બહુમતીના જોરે આ કાયદાઓને ઉતાવળમાં પસાર કર્યા અને વિપક્ષની અપીલને બાયપાસ કરી દીધી છે. આને કારણે વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર ખેડુતો અને લોકશાહી વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવી રહી છે. અખબારે એમ પણ કહ્યું છે કે વિરોધીઓ તેને સહેલાઇથી સ્વીકારશે નહીં અને આ આંદોલનનું ટૂંક સમયમાં કોઈ જ નિરાકરણ નહીં આવી શકે.