
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલ એર ઈન્ડિયાના વિમાનને રવિવારે સાંજે ટેકનિકલ સમસ્યાને કારણે ચેન્નાઈ મોકલવામાં આવ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 પર ઉપલબ્ધ માહિતી અનુસાર, એરબસ A320 વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ નંબર AI2455 બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહી.
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટે તિરુવનંતપુરમથી દિલ્હી જતી AI2455 ના ક્રૂએ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા અને રસ્તામાં ખરાબ હવામાનને કારણે સાવચેતી રૂપે વિમાનને ચેન્નાઈ વાળ્યું હતું.
તમને જણાવી દઈએ કે વિમાનમાં ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાં પાંચ સાંસદોનો પણ સમાવેશ થાય છે. એર ઈન્ડિયાએ કહ્યું કે વિમાન ચેન્નાઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતુ. તિરુવનંતપુરમથી ઉડાન ભરનાર ફ્લાઇટ નંબર AI 2455 માં કેરળના ચાર સાંસદ હતા – કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, યુડીએફ કન્વીનર અદૂર પ્રકાશ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોડિકુન્નિલ સુરેશ અને કે. રાધાકૃષ્ણન તમિલનાડુના સાંસદ રોબર્ટ બ્રુસ સાથે હતા.
લેન્ડિંગ પછી, વેણુગોપાલે આ ઘટનાને ‘મોટા અકસ્માતમાંથી બચી ગયા’ તરીકે વર્ણવી. તેમણે દાવો કર્યો કે વિમાનમાં રડારમાં સમસ્યા હતી, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. અમે ઉતરાણ પહેલાં લગભગ એક કલાક અને 10 મિનિટ હવામાં હતા. તેમણે કહ્યું કે મેં આ બાબતે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) ને પહેલાથી જ જાણ કરી દીધી છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ચેન્નાઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું છે, જ્યાં વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. મુસાફરોની સંખ્યા વિશે વિગતો ઉપલબ્ધ નથી. Flightradar24 તરફથી મળેલી માહિતી અનુસાર, વિમાને રાત્રે 8 વાગ્યા પછી તિરુવનંતપુરમથી ઉડાન ભરી હતી અને લગભગ 10.35 વાગ્યે ચેન્નાઈ પહોંચ્યું હતું.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:18 am, Mon, 11 August 25