ખેડૂત આંદોલન વચ્ચે દિલ્લીની સરહદો પર આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્લી હિંસાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર છે. પોલીસે દિલ્લી સરહદે સુરક્ષા વ્યવસ્થા તો મજબૂત કરી દીધી છે. બોર્ડર પર રસ્તો પણ ખોદી નાખ્યો છે. JCBથી રસ્તો ખોદવાની સાથે પોલીસે સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર અનેક લેયરના બેરિકેડ લગાવી દીધા છે અને ટીકરી બોર્ડર પર પોલીસે રસ્તામાં અણીદાર ખીલ્લા પાથરી દીધા છે.
શિવસેના નેતા સંજય રાઉત બપોરે ગાજીપુર બોર્ડર પહોંચશે. અનેક રાજનેતાઓ ખેડૂત આંદોલનને સમર્થન આપવા ગાજીપુર બોર્ડર ગયા છે, ત્યારે હવે શિવસેના પણ ખુલ્લી રીતે ખેડૂત આંદોલનને સમર્થન કરી રહી છે. આજે સંસદમાં ખેડૂતોના મુદ્દા પર હોબાળો થઇ શકે છે. વિપક્ષ તરફથી કૃષિ કાયદાઓ, દિલ્લી હિંસા સહિત અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવી શકે છે.