Cyclone Tauktae : વાવાઝોડાએ રંગ દેખાડયો, કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે તબાહીના દ્રશ્યો, અમિત શાહે બોલાવી બેઠક

|

May 16, 2021 | 4:58 PM

Cyclone Tauktae : તાઉ-તે ચક્રવાતથી અત્યાર સુધીમાં કર્ણાટકમાં 4 લોકોના મોત થયા છે. રાજ્યના કુલ 73 ગામોને વાવાઝોડાથી અસર થઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડા અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે.

Cyclone Tauktae : તાઉ-તે ચક્રવાતથી અત્યાર સુધીમાં કર્ણાટકમાં 4 લોકોના મોત થયા છે. રાજ્યના કુલ 73 ગામોને વાવાઝોડાથી અસર થઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડા અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે.

કર્ણાટકના દરિયાકાંઠે તબાહીનો માહોલ

‘તાઉ તે’ ચક્રવાતની અસર કર્ણાટકના દરિયાકાંઠે દેખાઇ રહી છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે લગભગ 73 જેટલા ગામો પ્રભાવિત થયા છે જ્યારે આ ઘટનામાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ સાથે જ મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું કે કોંકણ કાંઠા નજીકના જિલ્લાઓને ચક્રવાતની ચેતવણી અપાઇ છે. મુખ્યમંત્રીએ આ બાબતે જાણકારી મેળવી છે. મેં તેઓને પુનર્વસન કાર્ય બાબતની જાણકારી આપવામાં આવી છે. અમે આ વિસ્તારોમાં મોટા આશ્રયસ્થાનો તૈયાર કરવા સૂચના આપી છે. ચક્રવાત ‘તાઉ તે’ 12 કલાકમાં ખૂબ જ તીવ્ર બનશે. જ્યારે આજે તેને કારણે કેરળ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના પાંચ રાજ્યોમાં તાઉ-તે વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરાયું છે . એવી આગાહી છે કે અરબ સાગરમાં બની રહેલુ આ સાયકલોન હવે ભીષણ તોફાનમાં બદલાઈ ગયું છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ તાઉતે આગામી 24 કલાકમાં ગંભીર અને તે પછી ખૂબ ગંભીર સાયકલોનમાં રૂપાંતરિત થઈ જવાની આગાહી છે.

આ ચક્રવાત 18 મેની બપોરથી સાંજ સુધી ગુજરાતના પોરબંદર થઈને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પોરબંદર અને નાલિયા તટ પર વધુ તારાજી થવાની શકયતાઓ દર્શાવવામાં આવી છે.

ભારતીય વાયુસેનાએ ‘તાઉતે’ ચક્રવાત વાવાઝોડાને પહોંચી વળવા માટે પોતાના 16 કાર્ગો વિમાન અને 18 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. વાયુસેનાએ જણાવ્યુ હતું કે આગામી કેટલાક દિવસો દરિયાકાંઠાના વિસ્તારોમાં કોવીડ -19 રાહત અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે ખરાબ હવામાનની કારણે આ વિસ્તારોમાં અભિયાન પર અસર પડી શકે છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘તાઉ તે’ ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે લોકોને બચાવવા માટે અધિકારીઓને તમામ સંભવિત પગલા લેવા જણાવ્યું છે. આ સાથે વીજળી, ટેલિકોમ, આરોગ્ય, પીવાના પાણી જેવી તમામ આવશ્યક સેવાઓનું જાળવણી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

Published On - 1:54 pm, Sun, 16 May 21

Next Video