Coronavirus: કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત, વીમા યોજના 180 દિવસ માટે લંબાવી

કોરોના વાયરસ (Coronavirus) સંબંધિત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ માટેની વીમા યોજના મંગળવારથી 180 દિવસ માટે લંબાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી.

Coronavirus: કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત, વીમા યોજના 180 દિવસ માટે લંબાવી
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Apr 19, 2022 | 4:19 PM

કોરોના વાયરસ (Coronavirus) સંબંધિત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ માટેની વીમા યોજના (Insurance Scheme) મંગળવારથી 180 દિવસ માટે લંબાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં 1905 દાવાઓનું સમાધાન પણ થઈ ચૂક્યું છે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ દર્દીઓની સંભાળ માટે તૈનાત કરાયેલા આરોગ્ય કર્મચારીઓના આશ્રિતોને રક્ષણાત્મક કવચ આપવા માટે આ નીતિને વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલયે કહ્યું કે, 30 માર્ચ (2020) ના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોવિડ ડ્યુટીમાં મૃત્યુ પામેલા આવા 1905 આરોગ્ય કર્મચારીઓના દાવાઓનું સમાધાન થઈ ગયું છે. PMGKP નો ઉદ્દેશ્ય 22.12 લાખ આરોગ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયાનું અકસ્માત કવચ પૂરું પાડવાનો હતો. આમાં સામુદાયિક આરોગ્ય કાર્યકરો અને ખાનગી આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ કોવિડના દર્દીઓના સંપર્કમાં છે અને જેમને કોરોના સંક્રમિત થવાનું જોખમ છે.

આશ્રિતો માટે રક્ષણાત્મક કવર

સરકારે એક આદેશમાં જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP): કોવિડ-19 સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વીમા યોજના 19 એપ્રિલ 2022થી 180 દિવસના સમયગાળા માટે લંબાવવામાં આવી છે. આ યોજનાને વિસ્તારવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી કોરોના દર્દીઓની સંભાળ લેતા આરોગ્ય કર્મચારીઓના આશ્રિતોને રક્ષણાત્મક કવચ પ્રદાન કરી શકાય.” આને લગતો એક પત્ર સચિવો (આરોગ્ય)ને જાહેર કરવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે

ભારતમાં કોરોના વાયરસના (Coronavirus) કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના (Covid-19) 1,247 નવા કેસ નોંધાયા છે. આ પહેલા સોમવારે દેશમાં 2183 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 928 લોકોને રજા આપવામાં આવી છે અને માત્ર 1 વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયુ હતુ. દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 1,247 નવા કેસ નોંધાયા બાદ એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને 4,30,45,527 થઈ ગઈ છે, જ્યારે દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 11,860 પર પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે જીવ ગુમાવનારા દર્દીની સંખ્યા વધીને 5,21,966 થઈ ગઈ છે.

આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો: CSEET 2022: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી બની શકો છો, આપવી પડશે આ પ્રવેશ પરીક્ષા, ICSIએ બહાર પાડ્યું ફોર્મ, 9 જુલાઈએ યોજાશે પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.