લદાખના ગલવાન ખીણ પ્રદેશમાંથી ચીને બંધક બનાવેલ લેફટનન્ટ કર્નલ, મેજર સહીતના 10 જવાનોને મુક્ત કર્યા છે. ગુરુવારે મેજર જનરલ સ્તરની યોજાયેલી મંત્રણા બાદ, ચીને બંધક બનાવેલ ભારતીય સૈન્યના લેફટનન્ટ કર્નલ, ત્રણ મેજર અને છ સૈન્ય જવાનોને ગઈકાલે મોડી સાંજે મુક્ત કર્યા છે.
મિડીયા રિપોર્ટ મુજબ, ગઈકાલ ગુરુવારે ભારત અને ચીનના મેજર જનરલ કક્ષાએ, ગલવાન ખીણ પ્રદેશમાં બન્ને દેશના સૈન્ય વચ્ચે ગત સોમવારે થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર સર્જાયેલ તણાવ દુર કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતની ઉગ્ર રજુઆત બાદ, ચીને બંધક બનાવેલા 10 જવાનોને મંત્રણા બાદ મોડી સાંજે મુક્ત કર્યાં હતા. ગલવાન ખીણ પ્રદેશમા સોમવારે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલ હિંસક અથડામણ દરમિયાન ભારતની 20 અને ચીનના 35 જેટલા સૈન્ય જવાનો શહીદ થયા હતા. ચીનના સૈન્યે ભારતના 10 સૈન્ય જવાનોને બંધક બનાવીને પોતાની સાથે ચીન લઈ ગયા હતા. જેનો ભારતે ઉગ્ર વિરોધ કર્યો હતો.