
સુશીલ ચંદ્રા 13 એપ્રિલનના રોજ એટલે કે આજે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સંભાળશે. કાયદા મંત્રાલયે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ચંદ્રા સોમવારે નિવૃત્ત થઇ રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની જગ્યા લેશે. ચાલો તમને જણાવીએ કે કોણ છે સુશીલ ચંદ્રા અને ગુજરાત સાથે તેમનું શું કનેક્શન છે.
આઈઆઈટી, રૂરકીથી બી-ટેક, અને ડીએઆરવી, દહેરાદૂનથી એલએલબી કરી ચૂકેલા ચંદ્રા ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા સંવર્ધન) ના 1980 બેચના અધિકારી રહી ચૂક્યા છે. ચંદ્રાથી પહેલા ટી.એસ. કૃષ્ણમૂર્તિ એવા આઈઆરએસ અધિકારી હતા જેમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કૃષ્ણમૂર્તિ 2004 માં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા.
પરંપરા મુજબ, દેશના 3 ચૂંટણી કમિશનરોમાંથી સૌથી વરિષ્ઠ અધિકારીની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થાય છે, તે જ આધારે, ચંદ્રાની નિમણૂક કરવામાં આવી છે.
સુશીલ ચંદ્રા ઘણા ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે, તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે આઈઆરએસ અધિકારી, સુશીલ ચંદ્રાને યુપી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્તિ આપવામાં આવી હતી. મુંબઇમાં ડિરેક્ટર પદ સંભાળ્યું છે.
ગુજરાત સાથે શું છે કનેક્શન?
સુશીલ ચંદ્રા ગુજરાતમાં પણ કામ કરી ચૂક્યા છે. અહિયાં તેમને ડાયરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) તરીકે મુકવામાં આવ્યા હતા. ચંદ્રા આઈઆઈએમ બેંગ્લોર, વ્હર્ટન જેવી ટોચની સંસ્થાઓમાંથી પણ વિવિધ પ્રકારની તાલીમ લઈ ચૂક્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય કરવેરાનું પણ સારું નોલેજ હોવાનું માનવામાં આવે છે.
ચંદ્રાની લોકસભાની ચૂંટણી પહેલા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમને 14 મે 2022 ના પદમુક્ત કરવામાં આવશે. ચંદ્રાના કાર્યકાળ દરમિયાન ચૂંટણી પંચ ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભાઓની મુદત આગામી વર્ષ માર્ચમાં જુદી જુદી તારીખે સમાપ્ત થશે.
ચૂંટણી પંચમાં ફરજ બજાવતા પહેલા ચંદ્રા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના અધ્યક્ષ હતા. અરોરાની નિવૃત્તિ પછી ત્રણ સભ્યોના કમિશનમાં એક પદ ખાલી છે. ચંદ્રા આજથી એટલે કે મંગળવારથી મુખ્ય ચૂંટણી કમિશનર રહેશે, જ્યારે રાજીવ કુમાર ચૂંટણી કમિશનર હશે.
આ પણ વાંચો: વૈજ્ઞાનિકોની ચેતવણી: વેક્સિનેશન બાદ પણ જાળવવી પડશે આ આ પ્રકારની સાવધાની