કેન્દ્ર સરકારે રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ’ને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ‘જન ગણ મન’ની જેમ જ ‘વંદે માતરમ’નું ગાન અને વગાડવું પણ સરકારી કાર્યક્રમોમાં ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 28 જાન્યુઆરીએ 10 પાનાનો આદેશ જાહેર કરીને નવા પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે.
‘વંદે માતરમ’ પહેલા વગાડાશે
નવા આદેશ મુજબ જો ‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ બંને એકસાથે ગવાય અથવા વગાડાય, તો ‘વંદે માતરમ’ પહેલા રજૂ કરવામાં આવશે. વધુમાં, રાષ્ટ્રગીતનું સત્તાવાર સંસ્કરણ ગવાય અથવા વગાડાય ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ ધ્યાન કેન્દ્રિત કરીને ઊભા રહેવું ફરજિયાત રહેશે.
3.10 મિનિટનું સત્તાવાર સંસ્કરણ
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે ‘વંદે માતરમ’નું 3.10 મિનિટનું સંસ્કરણ, જેમાં કુલ છ શ્લોકો સામેલ છે, નિર્ધારિત સત્તાવાર પ્રસંગોએ ગાવું અથવા વગાડવું જરૂરી રહેશે. તેમાં તિરંગો ફરકાવવો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના આગમન-પ્રસ્થાન, રાષ્ટ્રને સંબોધન પહેલાં અને પછી, તેમજ અન્ય ઔપચારિક રાજ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
ત્રણ શ્રેણીમાં પ્રસંગોનું વર્ગીકરણ
નવા નિયમો મુજબ પ્રસંગોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે: પ્રથમ, જ્યાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત છે; બીજું, જ્યાં વગાડવું અને સમૂહમાં ગાવું બંને ફરજિયાત છે; અને ત્રીજું, જ્યાં રાષ્ટ્રગીત ગાઈ શકાય છે. નાગરિક સન્માન સમારંભો, ઔપચારિક રાજ્ય કાર્યક્રમો, પરેડ અને ઓલ ઈન્ડિયા રેડિયો-દૂરદર્શન પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં-પછી રાષ્ટ્રગીત વગાડવાનું રહેશે.
બેન્ડ દ્વારા વગાડવા માટે ખાસ નિયમ
જો રાષ્ટ્રગીત બેન્ડ દ્વારા વગાડવામાં આવે તો તેના પહેલાં ડ્રમ રોલ દ્વારા સંકેત આપવામાં આવશે. માર્ચિંગ ડ્રિલ મુજબ આ ડ્રમ રોલ 7 ગતિનો રહેશે અને એક બીટના વિરામ બાદ રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવશે.
શાળાઓમાં દૈનિક સમૂહ ગાન
નવા આદેશ મુજબ તમામ શાળાઓમાં દિવસની શરૂઆત ‘વંદે માતરમ’ના સમૂહ ગાનથી કરવામાં આવશે. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીત પ્રત્યે આદરભાવ વિકસે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.
ન્યૂઝરીલ અને ડોક્યુમેન્ટરી માટે છૂટછાટ
જો રાષ્ટ્રગીત ન્યૂઝરીલ અથવા ડોક્યુમેન્ટરીના ભાગરૂપે પ્રસારિત થાય, તો દર્શકોને ઊભા રહેવાની ફરજ નહીં હોય. કારણ કે તેનાથી પ્રદર્શન ખોરવાઈ શકે છે અને ગૌરવ જાળવવામાં અવરોધ ઊભો થઈ શકે છે.
150મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ પગલું
‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ નિમિત્તે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે અત્યાર સુધી ‘જન ગણ મન’ માટે સ્પષ્ટ નિયમો હતા, પરંતુ ‘વંદે માતરમ’ માટે સત્તાવાર પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો ન હતો. હવે નવા આદેશ સાથે રાષ્ટ્રીય ગીતના ગાન અને પ્રસ્તુતિ માટે સ્પષ્ટ અને એકરૂપ માર્ગદર્શિકા અમલમાં આવશે.
દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
