
બદ્રીનાથ મંદિરમાં પ્રસાદ ચોરીના મામલે ચાલી રહેલા હોબાળા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે હવે પહેલી ધરપકડ કરવામાં આવી છે. તપાસના આધારે પોલીસે આરોપી પ્રમોદ નૌટિયાલની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. ઉત્તરાખંડ પોલીસે મંદિરમાં પ્રસાદ અને દાનના સંચાલનમાં કથિત અનિયમિતતાના સંદર્ભમાં નૌટિયાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
ચમોલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સુરજીત સિંહ પનવરે જણાવ્યું હતું કે ચમોલી પોલીસે રવિવારે રાત્રે પ્રમોદ નૌટિયાલની ધરપકડ કરી હતી અને તેમને બદ્રીનાથ લઈ ગયા હતા, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રમોદ નૌટિયાલ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના સસ્પેન્ડેડ કર્મચારી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે નૌટિયાલ સામે FIR નોંધવામાં આવી હતી, જે અગાઉ BKTC ચેરમેનના અંગત સહાયક તરીકે સેવા આપી ચૂક્યા હતા.
BKTC ની ચાર સભ્યોની તપાસ સમિતિએ તેની પ્રાથમિક તપાસમાં શોધી કાઢ્યું હતું કે દાન અને પ્રસાદના સંચાલનમાં અનિયમિતતા અંગેના આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા લાગે છે. BKTC એક વૈધાનિક સંસ્થા છે જે બદ્રીનાથ મંદિર સહિત ઉત્તરાખંડમાં મુખ્ય મંદિરો અને ધાર્મિક સ્થળોનું સંચાલન કરે છે.
ઉત્તરાખંડ સરકારે ગયા અઠવાડિયે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના પણ કરી હતી. ગઢવાલ ડિવિઝનલ કમિશનર આ સમિતિના વડા છે, જે તેનો તપાસ અહેવાલ અને ભલામણો રાજ્ય સરકારને સુપરત કરશે. બદ્રીનાથ મંદિરમાં દાન અને પ્રસાદની ગણતરી દરમિયાન અનિયમિતતાના આરોપો સોશિયલ મીડિયા પર સામે આવ્યા ત્યારે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો. ત્યારબાદ, ‘ભૈરવ સેના’ નામની એક સંસ્થાએ આ મામલાની તપાસ અને FIR નોંધવાની માંગ કરતી ફરિયાદ નોંધાવી હતી.
Published On - 12:47 pm, Mon, 13 July 26