‘ભાજપે રચ્યું છે શિવસેનાને ખતમ કરવાનું ષડયંત્ર’, એકનાથ શિંદે સરકારની બહુમતી સાબિત થવા પર ઉદ્ધવ ઠાકરેએ આપ્યું નિવેદન

શિવસેના દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા પ્રમુખોને કહ્યું કે જો તેઓ લડાઈ ચાલુ રાખવા માંગતા હોય તો અમારી સાથે રહો. તેમણે કહ્યું કે ભાજપ અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપે રચ્યું છે શિવસેનાને ખતમ કરવાનું ષડયંત્ર, એકનાથ શિંદે સરકારની બહુમતી સાબિત થવા પર ઉદ્ધવ ઠાકરેએ આપ્યું નિવેદન
Uddhav Thackeray
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jul 04, 2022 | 9:25 PM

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન (Shivsena) એકનાથ શિંદેએ (Eknath Shinde) મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરી દીધી છે. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) બળવાખોર ધારાસભ્યો અને ભાજપને મધ્યસત્ર ચૂંટણીમાં ઉતરવાનો પડકાર ફેંક્યો છે. ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પાર્ટીના નેતાઓ સાથેની બેઠક દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે ભાજપે શિવસેનાને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે કહ્યું કે મારો પડકાર એ છે કે જો આ લોકોમાં હિંમત હોય તો મધ્યસત્ર ચૂંટણી લડે. પક્ષના જિલ્લા પ્રમુખોની બેઠકમાં તેમણે કહ્યું હતું કે જે રીતે વિધાનસભા ચાલી રહી છે તે બંધારણનું ઉલ્લંઘન છે.

શિવસેનાને ખતમ કરવાનું કાવતરું

શિવસેના દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા પ્રમુખોને કહ્યું કે જો તેઓ લડાઈ ચાલુ રાખવા માંગતા હોય તો અમારી સાથે રહો. તેમણે કહ્યું કે ભાજપ અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ‘શિવસેનાને ખતમ કરવાનું ભાજપનું ષડયંત્ર છે. હું તમને મધ્યસત્ર ચૂંટણીનો સામનો કરવાનો પડકાર આપું છું. આ બધી રમત છોડીને અમે જનતાની અદાલતમાં જઈશું. જો અમે ખોટા હોઈશું તો લોકો અમને ઘરે મોકલી દેશે. જો ભાજપ અને શિંદે જૂથના લોકો ખોટા હશે તો તેમણે ઘરે પરત ફરવું પડશે.

તેમણે કહ્યું કે બંધારણના જાણકારોને જણાવવું જોઈએ કે વિધાનસભા જે રીતે કામ કરી રહી છે તે બંધારણ મુજબ છે કે કેમ. તેમણે કહ્યું કે જે ઘટનાક્રમ થઈ રહ્યો છે તે સત્તા કબજે કરવા માટે છેતરપિંડી છે. જણાવી દઈએ કે એકનાથ શિંદે ગયા મહિને શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો સાથે સુરત ગયા હતા. તે પછી તેઓ તે ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં રોકાયા અને પછી ફ્લોર ટેસ્ટ માટે મંજૂરી મળ્યા પછી તેઓ મુંબઈ પાછા ફર્યા અને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એટલું જ નહીં, રવિવારે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી અને સોમવારે બહુમત પરીક્ષણ પહેલા તેમણે આ તમામ ધારાસભ્યોને પાછા બોલાવ્યા હતા.

શિવસેનાએ વિપક્ષ નેતાનું પદ ગુમાવ્યું

નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે જૂથને હવે માત્ર 15 શિવસેના ધારાસભ્યોનું સમર્થન છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીની ખુરશી ગુમાવનાર શિવસેના પાસે હવે વિપક્ષના નેતાનું પદ પણ નથી. મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર સોમવારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. અગાઉ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના છેલ્લા દિવસે સોમવારે ગૃહમાં નિર્ણાયક ફ્લોર ટેસ્ટ જીત્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે 164-99ના માર્જિનથી ફ્લોર ટેસ્ટ જીતી હતી.