
MMRDA પ્રશાસને મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં મુસાફરોની સુવિધા માટે મેટ્રો-2A અને મેટ્રો-7ની સેવાઓ મોડી રાત સુધી ચલાવવાનો નિર્ણય લીધો છે. દિવાળીના અવસર પર મુંબઈવાસીઓ મોડી રાત સુધી મેટ્રોમાં મુસાફરી કરી શકશે. મેટ્રો પ્રશાસને આ નિર્ણય MMRDAના અધ્યક્ષ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના આદેશ અનુસાર લીધો છે.
મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢાએ એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનરને પત્ર લખીને મોડી રાત સુધી મેટ્રો સેવા ચલાવવાની માગણી કરી હતી. તેથી હવે માત્ર તહેવાર માટે જ નહીં પરંતુ આગામી શનિવાર 11 નવેમ્બરથી મેટ્રોના સમયમાં કાયમી ધોરણે વધારો કરવામાં આવ્યો છે. મેટ્રો સેવા હવે 10.30 વાગ્યાના બદલે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.
મેટ્રો માર્ગ – 2A અને મેટ્રો – 7 ની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારથી પશ્ચિમ ઉપનગરોના મુસાફરોને ટ્રાફિક જામ અને પ્રદૂષણમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈની પ્રથમ મેટ્રો, ઘાટકોપરથી વર્સોવા, મુંબઈ મેટ્રો વન સાથે જોડાઈ છે, જેનાથી બંને મેટ્રોની સવારી વધી છે.
નવરાત્રિ પર્વ દરમિયાન મુંબઈગરાઓની સુવિધા માટે મોડી રાત સુધી મેટ્રો-રૂટ 2A અને મેટ્રો-7 દોડાવીને રાહત પૂરી પાડવામાં આવી હતી. હવે દિવાળી પર પણ મેટ્રો સેવા રાત્રે 10.30ને બદલે 11 વાગ્યા સુધી ચલાવીને મુસાફરોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુંબઈવાસીઓને દિવાળીની ભેટ મળી છે.
મુંબઈ મેટ્રો રૂટ 2Aના અંધેરી વેસ્ટ સ્ટેશનથી છેલ્લી મેટ્રો અને મેટ્રો રૂટ 7ના ગુંદવલી સ્ટેશનથી હવે 10.30 વાગ્યાને બદલે 11 વાગ્યે ઉપડશે. હાલમાં, મેટ્રો રૂટ 2A અને 7 પર ગુંદવલી અને અંધેરી વેસ્ટ વચ્ચે લગભગ 253 મેટ્રો ટ્રેનો સોમવારથી શુક્રવાર સુધી સવારે 5.55 થી રાત્રે 10.30 સુધી સાડા સાતથી સાડા દસ મિનિટના અંતરે ચલાવવામાં આવે છે.
આ ઉપરાંત રાત્રે 10 વાગ્યા પછી દહિસર પશ્ચિમથી ગુંદવલી સુધી બે વધારાની મેટ્રો ટ્રીપો દોડાવવામાં આવશે અને બે વધારાની મેટ્રો ટ્રીપો દહાણુકરવાડી અને અંધેરી પશ્ચિમ વચ્ચે દોડાવવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ છ કરોડ નાગરિકોએ મેટ્રો રૂટ 2A અને 7 પર મુસાફરી કરી છે. લગભગ 1.6 લાખ મુંબઈવાસીઓએ મેટ્રો વન કાર્ડ ખરીદ્યું છે.