India Corona Update: દેશમાં દરરોજ કોરોનાના કેસ નવી સપાટી વટાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 3 લાખ 54 હજાર 533 કેસ નોંધાયા તો દેશમાં ગઇકાલે 2,806 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડ્યો. ભારતમાં ગઇકાલે વધુ 2 લાખ 18 હજાર 561 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને બહાર આવી ગયા છે. દેશમાં હાલ 28 લાખ 7 હજારથી પણ વધારે સક્રિય કેસ છે. કોરોનાના કારણે દેશમાં કુલ મૃત્યુઆંક 1 લાખ 95 હજારને પાર પહોંચ્યો છે તો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્લી તથા ગુજરાતની પરિસ્થિતિ અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે.
દેશનાં આંકડાઓ વચ્ચે ગુજરાત રાજ્યની અગર વાત કરવામાં આવે તો, ગુજરાત કોરોનાની સૌથી વિકટ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે, શ્વાસ ખૂટી રહ્યા છે. હોસ્પિટલોના હાલ બેહાલ છે તો દર્દીઓ અકાળે અવસાન પામી રહ્યા છે. આ વિકટ સ્થિતિ વચ્ચે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 14,296 પોઝિટિવ કેસ નોંધાયા તો 157 દર્દીઓના મોત નિપજ્યા.
નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 95 હજાર 934ને પાર પહોંચી છે તો રાજ્યમાં મૃત્યુઆંક વધીને 6 હજાર 328 થયો. 24 કલાકમાં 6,727 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 74 હજાર 699 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1 લાખ 15 હજારને પાર પહોંચી છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 406 થઇ છે, જ્યારે સાજા થવાનો દર ઘટીને 75.54 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં આક્રમક બનેલા કોરોનાએ 29 લોકોનો ભોગ લીધો છે જ્યારે નવા 5,864 કેસ નોંધાયા છે તો સુરતમાં 2,103 કેસ સાથે 27 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 676 કેસ સાથે 14 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 760 કેસ સાથે 18 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ સ્થિતિ છે.
જામનગરમાં 674 કેસ સાથે 14 દર્દીઓ મોતને ભેટ્યા તો ભાવનગરમાં 7, ગાંધીનગર અને મોરબીમાં 6-6 દર્દીના મોત થયા તો સાબરકાંઠામાં 5 દર્દીએ જીવ ખોયો જ્યારે બનાસકાંઠા, જૂનાગઢ, મહેસાણા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા તો કચ્છમાં 3, વલસાડ અને અમરેલીમાં બે-બે દર્દીઓ મોતને ભેટ્યા.
જો કે અમદાવાદ માટે સારો સંકેત એ છે કે, સતત ચોથા દિવસે કેસ વધવાની ઝડપ ઘટી છે જેથી હવે ટૂંક સમયમાં જ ‘પીક’ આવશે પીક આવ્યા બાદ દૈનિક કેસની સંખ્યા ઘટશે, પરંતુ એકાદ-બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ થવા માગતા દર્દીઓની સંખ્યા યથાવત્ રહેશે.