મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન (Monsoon in Maharashtra) બાદ તેની ગતિ ઘટી ગઈ હતી. પરંતુ આજે વરસાદે જોરદાર બેટીંગ (Maharashtra rain) શરૂ કરી છે. વિદર્ભના અમરાવતીમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પણ અમરાવતી જિલ્લાના કરજગાંવ, બહિરમ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં એવું લાગ્યું જાણે વાદળ ફાટ્યુ. ચાંદુર બજાર તાલુકાના કરજગાંવમાં સતત ત્રણ કલાક સુધી એટલો ભારે વરસાદ પડ્યો કે ગામના એક ચોકમાં પાર્ક કરેલી બાઇક તણાઈ ગઈ હતી.
સવારના અગિયાર વાગ્યાથી જીલ્લાના તિવાસા, ચાંદુર રેલ્વે, ચાંદુર બજાર, અચલપુર, પરતવાડા, અંજનગાંવ, ધારણી અને ચીખલદરામાં ભારે વરસાદ થયો. જેના કારણે ક્યાંક સંગ્રહ કરવામાં આવેલો પાક ભીંજાઈ ગયો હતો તો ક્યાંક લોકોનો માલ સામાન તણાઈ ગયો હતો. અમરાવતી એગ્રીકલ્ચર માર્કેટના ગોદામમાં રાખેલી ડાંગરની 2000 થી 2200 ગુણીઓ ભીંજાઈ ગઈ હતી. તુવેર દાળથી ભરેલી કેટલીક ગુણીઓ પણ સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી.
મુંબઈમાં પણ મધરાતથી કાંદિવલી, બોરીવલી, મલાડ, દહિસર, અંધેરી અને બાંદ્રામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. પરંતુ હજુ સુધી રસ્તાઓ પર પાણી ભરાવા જેવી કોઈ સમસ્યા સામે આવી નથી. ઘણા વિસ્તારોમાં એટલા ગાઢ વાદળો છે કે જાણે દિવસે જ સાંજ પડી ગઈ હોય એવું લાગી રહ્યું હતુ.
હવામાન વિભાગે આજથી મુંબઈ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં અને તેની આસપાસ વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે અને કોંકણના સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન બાદ જ ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. પરંતુ તે પછી ચોમાસાની ગતિ થંભી ગઈ હતી. આવી સ્થિતિમાં ખેડૂતોમાં મુંઝવણ છે કે વાવણી ક્યારે શરૂ કરવી? આ અંગે કૃષિ તજજ્ઞોનું માનવું છે કે 75 થી 100 મીમી વરસાદ પછી જ વાવણી શરૂ કરવી જોઈએ. અડધો જૂન વીતી ગયા પછી પણ વરસાદ યોગ્ય રીતે ન થતાં ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. પરંતુ આજે મધરાતથી પડેલા ભારે વરસાદ અને શનિવારે અમરાવતી જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે.