Assembly Election 2022: ગોવા, ઉત્તર પ્રદેશમાં શિવસેના ચૂંટણી લડશે ? સાંસદ સંજય રાઉતે કર્યો મોટો દાવો

મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil, BJP President) આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'શિવસેનાને થાપણો જપ્ત કરાવવા માટે પૈસા મળે છે. તેથી જ શિવસેના ત્યાં ચૂંટણી લડે છે. સંજય રાઉતને ગંભીરતાથી લેવાની જરૂર નથી.'

Assembly Election 2022: ગોવા, ઉત્તર પ્રદેશમાં શિવસેના ચૂંટણી લડશે ? સાંસદ સંજય રાઉતે કર્યો મોટો દાવો
Sanjay Raut (File Image)
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:42 PM

ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો (Assembly election in 5 states) કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે (MP Sanjay Raut) એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે શિવસેના ગોવા (Goa) અને ઉત્તર પ્રદેશ (યુપી)ની કેટલીક સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે.  તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અન્ય રાજ્યોમાં પણ મહા વિકાસ અઘાડી (ગઠબંધન) બનાવવાના પ્રયાસો ચાલુ છે.

સંજય રાઉતની આ જાહેરાત પર મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘શિવસેનાને ડિપોઝિટ જપ્ત કરાવવા માટે પૈસા મળે છે, તેથી શિવસેના ત્યાં ચૂંટણી લડે છે. સંજય રાઉતને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

શિવસેના ગોવા અને ઉત્તર પ્રદેશની ચૂંટણી પર દાવ રમશે

શું શિવસેના ગોવા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચૂંટણી લડશે? આ સવાલ પત્રકારોએ સંજય રાઉતને કર્યો હતો. તેના જવાબમાં શિવસેનાના સાંસદે કહ્યું, ‘ચોક્કસપણે, અમે ગોવા અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબમાં બીજી મોટી પાર્ટીઓ છે. અલબત્ત તેઓ સારી તૈયારી કરી રહ્યા છે. તેમના પ્રચાર, બેનરો, હોર્ડિંગ્સ દેખાશે, જ્યારે શિવસેનાના દેખાઈ રહ્યા નથી. પરંતુ શિવસેનાના વિચારો અને તેની ભૂમિકા લોકો સુધી પહોંચી રહી છે. અમારા કાર્યકરો ચૂંટણી લડશે અને તેમની પાછળ ઊભા રહેવાની અમારી ફરજ છે.’

‘ગોવામાં મહાવિકાસ અઘાડી બનાવવા માંગે છે, કોંગ્રેસમાં અસમંજસ ચાલુ’

આ પછી પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું કે શું શિવસેના આ રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડશે કે પછી મહા વિકાસ અઘાડી જેવા કોઈ પ્રયોગનો ઉપયોગ કરશે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘અમારા પ્રયાસો ગોવા માટે શરૂ થઈ રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે મહારાષ્ટ્રના આ પ્રયોગનું ગોવામાં પુનરાવર્તન થાય. શિવસેના અને એનસીપી સાથે લડશે એ નિશ્ચિત છે. કોંગ્રેસ અમારી સાથે આવે તે માટે મેં પોતે ગોવા જઈને પ્રયાસો કર્યા છે. પરંતુ બેઠકોની વહેંચણીને લઈને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

‘કોંગ્રેસ વિચારે છે કે ઉત્તર પ્રદેશ હોય કે ગોવા, અમારી સાથે ગઠબંધન કરીને તેમને શું મળશે’

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસને લાગે છે કે તે એકલા હાથે સત્તામાં આવી શકે છે. તેમને લાગે છે કે તેઓ પોતાના દમ પર 22 બેઠકો મેળવશે. અમે તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે જો કોઈમાં ભાજપને રોકવાની શક્તિ હોય તો તે પોતાનાથી બનતા પ્રયાસ કરીને સત્તામાં આવે. જો કોંગ્રેસને લાગે છે કે તે ગોવા અને ઉત્તર પ્રદેશમાં એકલા હાથે સત્તા પર આવી શકે છે તો આવે. પરંતુ અમે હજુ થોડા દિવસો સુધી અમારા પ્રયાસો ચાલુ રાખીશું. અમે ક્યારેય નથી કહ્યું કે અમે દરેક જગ્યાએ ચૂંટણી લડીશું. પરંતુ અમે ગોવા અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ ચોક્કસ લડીશું.

સંજય રાઉતે ભાજપને માણો ટોણો

અંતે સંજય રાઉત ભાજપ પર સીધો પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે કેટલાક નિયંત્રણો લાદ્યા છે. તેમને બધાએ માનવા જોઈએ. અમે પશ્ચિમ બંગાળમાં જોયું કે કેવી રીતે કોરોનાની બીજી લહેર દરમિયાન, તે લહેર પર સવાર થઈને કેવી રીતે પ્રચાર કરવામાં આવ્યો, વડા પ્રધાને મોટી રેલીઓ અને સભાઓ ન કરવી જોઈએ. અન્ય લોકો માટે આદર્શ સ્થાપિત કરવા જોઈએ. પંજાબમાં બનેલી ઘટના બાદ અમે તેમના માટે ચિંતિત છીએ અને કોરોનાના કારણે અમે લોકો માટે ચિંતિત છીએ.

આ પણ વાંચો :  Mumbai Local Train: આજથી 36 કલાક સુધી મધ્ય રેલવેનું મેગા બ્લોક, એક્સપ્રેસ અને લોકલ ટ્રેન સેવા થશે પ્રભાવિત