સુરતમાં સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના હૃદય સહીતના અંગોનું દાન, મુંબઈ અને ચેન્નઈ સુધી ગ્રીન કોરીડોર બનાવાયો

કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિક અજ્યભાઈ કાકડિયાનેબ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.

સુરતમાં સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના હૃદય સહીતના અંગોનું દાન, મુંબઈ અને ચેન્નઈ સુધી ગ્રીન કોરીડોર બનાવાયો
Donation of organs including the heart of the youngest braindead child in Surat
| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:42 PM

SURAT : સુરતમાં ભારતના સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસના સહકારથી હાથ , હૃદય અને ફેફસાં સમયસર મુંબઈ , ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. બાળકના બંને હાથોને ચાર્ટર વિમાન મારફતે 105 મિનિટમાં મુંબઈ પહોંચાડવામાં આવ્યાં હતા. સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખાણ ઊભી કરી રહ્યું છે. સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. તદઉપરાંત ફીસ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌ પ્રથમ ઘટના છે.

14 વર્ષના ધાર્મિક કાકડિયાને બ્રેઈન હેમરેજ થયું
કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિક અજ્યભાઈ કાકડિયાને ગત 27 ઓક્ટોબરે ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેશર વધી જવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ન્યુરોફિજીશિયન ડો.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો . નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.

ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો . 29 ઓક્ટોબરે જ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

લિવર, હૃદય, ફેફસાં, આંતરડા અને બંને હાથનું દાન
ધાર્મિના માતા – પિતાના જણાવ્યા અનુસાર કિડનીની તકલીફ હોવાથી ધાર્મિને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. હવે તે બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળે તેવો હેતુ છે. પરિવારજનો તરફથી લિવર, હૃદય, ફેફસાં અને આંતરડાના દાનની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવતા જણાવ્યું હતું કે દેશમાં ઘણા બધા વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જાય છે અને તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા વ્હાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની મંજુરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળી શકે . બાદમાં વ્હાલસોયા બાળકના હાથનું દાન કરવાની મંજુરી આપી હતી.

વિવિધ અંગોનું જુદી જુદી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી 35 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, ફેફ્સાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના 44 વર્ષીય વ્યક્તિમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ધોરણ 11 માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવકને છેલ્લા દોઢ વર્ષથી હૃથ્યની તકલીફ હતી અને તેના હૃદયનું પમ્પીંગ 10 થી 15 ટકા જેટલું હતું . આખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.