
પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનના 17 લાખ નાગરિકો સહિત તમામ ગેરકાયદેસર રહેતા લોકોને દેશ છોડવાની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. વચગાળાના ગૃહ પ્રધાન સરફરાઝ બુગતીએ સોમવારે કહ્યું હતું કે, જો આવા ગેરકાયદે રહેતા લોકો દેશ છોડશે નહીં તો પાક સરકાર તેમને બહાર કાઢવાનું શરૂ કરશે. પાકિસ્તાન સરકાર દ્વારા ગેરકાયદેસર રહેતા વિદેશીઓને દેશ છોડવા માટે 31 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ મુદ્દે પાકિસ્તાન અફઘાનિસ્તાનથી આવતા લોકોને નિશાન બનાવી રહ્યું છે.
સૌથી વધુ ગેરકાયદે રહેતા લોકોમાં અફઘાનિસ્તાનથી આવેલાની સંખ્યા અંદાજે 17 લાખ છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારે બુગતીને ટાંકીને કહ્યું કે, 1 નવેમ્બર બાદ સરકાર તબક્કાવાર રીતે આવા લોકોને દેશમાંથી બહાર કાઢવાનું શરૂ કરશે. બુગતીએ પુષ્ટિ કરી છે કેમ છેલ્લા 3 દિવસમાં 20,000થી વધુ વિદેશીઓ પાકિસ્તાન છોડી નિકળી ગયા છે. તેમણે કહ્યું કે વિભાગીય અને જિલ્લા સ્તરે સમિતિઓની રચના કરવામાં આવી છે.
આ બાબતે ગૃહ પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યુ કે, ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તબક્કાવાર દેશમાંથી રવાના કરવામાં આવશે. સૌથી પહેલા એવા લોકો કે જેમની પાસે કોઈ યાત્રા દસ્તાવેજો નથી તેઓને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. તેમાંના ઘણા લોકો એવા પણ છે જેઓ વર્ષોથી પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. સરકારે જિયો-મેપિંગનું કામ પૂર્ણ કરી લીધું છે અને જે વિસ્તારોમાં વિદેશી નાગરિકો હશે, તેમને શોધવામાં આવશે.
આ પણ વાંચો : Ankit Avasthi Video: પાકિસ્તાની હથિયારો નકામા નીકળ્યા, યુક્રેનની મદદ થઈ બર્બાદ, જુઓ Video
ગૃહ પ્રધાને આગળ જણાવ્યું કે, નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા બાદ ગેરકાયદે રહેતા લોકોને રાખવા માટે જુદી-જુદી જગ્યાઓ પર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આવા અસ્થાયી કેન્દ્ર પર વિદેશી નાગરિકોને જીવન જરૂરિયાતની તમામ મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે, પ્રત્યાર્પણ યોજનાનો ઉદ્દેશ્ય તમામ ગેરકાયદેસર લોકો માટે છે, જેઓ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:17 pm, Tue, 31 October 23