‘પાકિસ્તાનનો આતંકવાદીઓને આશ્રય આપવાનો ઈતિહાસ છે’, ભારતે યુએનમાં આપ્યો જડબાતોડ જવાબ

|

Jan 26, 2022 | 3:28 PM

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદને લઈને પાકિસ્તાન પર પ્રહારો કર્યા છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાનનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઇતિહાસ છે.

પાકિસ્તાનનો આતંકવાદીઓને આશ્રય આપવાનો ઈતિહાસ છે, ભારતે યુએનમાં આપ્યો જડબાતોડ જવાબ
R Madhu Sudan, Counselor at Permanent Mission of India (ANI PIC)

Follow us on

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદને લઈને પાકિસ્તાન પર પ્રહારો કર્યા છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાનનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઇતિહાસ છે. યુનાઇટેડ નેશન્સ (UN)માં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર આર મધુ સુદને આ ટિપ્પણી ‘સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોની સલામતી’ વિષય પર UNSCની ચર્ચા દરમિયાન કરી હતી. એક પાકિસ્તાની રાજદ્વારી દ્વારા ભારત વિરુદ્ધ “ખોટો અને દૂષિત પ્રચાર” કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રદાન કરવામાં આવેલ મંચનો દુરુપયોગ કર્યા બાદ ભારતીય કોન્સ્યુલરે આ ટિપ્પણી કરી હતી.

ભારતીય કોન્સ્યુલે કહ્યું, “આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાનના પ્રતિનિધિએ અમારા દેશ વિરુદ્ધ ખોટો અને દૂષિત પ્રચાર કર્યો હોય.” તેઓએ (પાકિસ્તાનના પ્રતિનિધિ) પાકિસ્તાનની દુ:ખદ સ્થિતિ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રદાન કરવામાં આવેલ મંચનો દુરુપયોગ કર્યો છે. પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં આતંકવાદીઓ સામાન્ય લોકોની જેમ ફ્રી પાસનો આનંદ માણે છે.

‘આતંકવાદી હુમલા પાકિસ્તાન સાથે જોડાયેલા’

ભારતીય કોન્સ્યુલે ઉલ્લેખ કર્યો કે, સભ્ય દેશો સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય, મદદ અને સક્રિયપણે સમર્થન આપવાનો ઇતિહાસ ધરાવે છે. “તે એક એવો દેશ છે જે વૈશ્વિક સ્તરે આતંકવાદના પ્રાયોજક તરીકે ઓળખાય છે અને સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને સૌથી વધુ સંખ્યામાં હોસ્ટ કરવાનો વૈશ્વિક રેકોર્ડ ધરાવે છે. એટલું જ નહીં, આજે દુનિયાભરમાં આતંકવાદી હુમલાનો દોર ક્યાંક ને ક્યાંકથી પાકિસ્તાન સાથે જોડાયેલો છે.

2008નો મુંબઈ હુમલાને કર્યો યાદ

મધુ સુદને સુરક્ષા પરિષદને યાદ અપાવ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાન અને વિદેશ પ્રધાનની ઓસામા બિન લાદેન સહિતના આતંકવાદીઓને સમર્થન કરવા બદલ સખત નિંદા કરવામાં આવી હતી. પરંતુ તેઓ એ જ માર્ગ પર ચાલવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું, ‘અમે આજે નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચા કરી રહ્યા છીએ. નાગરિકોને સૌથી મોટો ખતરો આતંકવાદીઓથી આવે છે. જેમ આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારોને તેઓ પ્રતિનિધિત્વ કરતા દેશ (પાકિસ્તાન) દ્વારા સુરક્ષિત છે.

‘જમ્મુ-કાશ્મીરમાંથી ગેરકાયદેસર કબજો ખાલી કરો’

ભારતીય રાજદ્વારીએ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના મુદ્દા પર પણ દેશનો પક્ષ લીધો અને ફરી એકવાર ભાર મૂક્યો, ‘સમગ્ર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાનના પ્રતિનિધિઓ શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે પાકિસ્તાનને તે તમામ વિસ્તારો ખાલી કરવા કહીએ છીએ જેના પર તેણે ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.

આ પણ વાંચો: DRDO Apprentice Recruitment 2022: DRDOમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી, જુઓ કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: CBSE Result: CBSE ટર્મ 1નું પરિણામ આજે જાહેર થશે! બોર્ડે ટ્વિટર પર આપી આ માહિતી

Published On - 3:24 pm, Wed, 26 January 22

Next Article