આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકામાં ફરીથી કટોકટી જાહેર કરવામાં આવી, સરકાર વિરોધી આંદોલન ઉગ્ર બન્યા

શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકા (Sri Lanka)ના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa)એ કટોકટી જાહેર કરી છે, જે મધ્યરાત્રિથી અમલમાં આવશે. શ્રીલંકાના ડેઈલી મિરરે રાષ્ટ્રપતિના મીડિયા વિભાગને ટાંકીને આ માહિતી આપી છે.

આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકામાં ફરીથી કટોકટી જાહેર કરવામાં આવી, સરકાર વિરોધી આંદોલન ઉગ્ર બન્યા
Emergency declared in Sri Lanka
| Edited By: | Updated on: May 06, 2022 | 11:40 PM

શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકા (Sri Lanka)ના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa)એ કટોકટી જાહેર કરી છે, જે મધ્યરાત્રિથી અમલમાં આવશે. શ્રીલંકાના ડેઈલી મિરરે રાષ્ટ્રપતિના મીડિયા વિભાગને ટાંકીને આ માહિતી આપી છે. કટોકટી હેઠળ, પોલીસ અને સુરક્ષા દળોને મનસ્વી રીતે કોઈપણની ધરપકડ અને અટકાયત કરવાની સત્તા મળે છે. રાષ્ટ્રપતિના મીડિયા વિભાગના જણાવ્યા અનુસાર, રાજપક્ષેનો નિર્ણય જાહેર અને આવશ્યક સેવાઓની સલામતી જાળવવાનો છે જેથી દેશની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરી શકાય.

 

શ્રીલંકામાં છેલ્લા ઘણા અઠવાડિયાથી રાષ્ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગ વચ્ચે કટોકટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકા તેની આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને લોકો ભારે વીજ કાપ તેમજ આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. રાજપક્ષેએ પણ 1 એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. જોકે, તે 5 એપ્રિલે પાછી ખેંચી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 2 એપ્રિલના રોજ પણ બગડતી પરિસ્થિતિ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોડાબાયા રાજપક્ષે મોડી રાત્રે દેશમાં કટોકટીની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે દેશ આઝાદ થયા પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં ઈંધણની પણ ભારે કટોકટી છે અને લોકોને કેટલાક કલાકો વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીલંકામાં પેપરોની એટલી અછત હતી કે અહીંની તમામ પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. સરકાર સામે દેખાવો ભારે ઉગ્ર બની ગયા હતા. રાષ્ટ્રપતિ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને રાષ્ટ્રપતિના આવાસની બહાર હિંસક દેખાવો જોવા મળ્યા હતા. ત્યારે ફરી એક વખત આ પ્રકારે દેશમાં સ્થિતિ વણસી છે.

ઉગ્ર થઈ ગયું હતું આંદોલન

આંદોલન હિંસક બનતા અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીકના સ્ટીલ બેરિકેડને તોડી પાડ્યા બાદ પોલીસે દેખાવકારો પર ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. આ સંબંધમાં કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિના મીડિયા વિભાગ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષેના નિવાસસ્થાન નજીકની હિંસામાં એક ઉગ્રવાદી જૂથ સામેલ હતું,

અગાઉ એવા અહેવાલ હતા કે ઇંધણ મેળવવામાં નિષ્ફળ ગયેલી શ્રીલંકાની સરકાર સ્ટ્રીટ લાઇટ બંધ કરીને પૈસા બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રોયટર્સે શ્રીલંકાના ઉર્જા મંત્રીને ટાંકીને આ માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં ઇંધણની અછતને કારણે લાંબા સમય સુધી પાવર કટ જોવા મળી રહ્યો છે. સ્થિતિ વણસતી બચાવવા સરકારને રસ્તાઓ પર અંધારપટ કરવાની ફરજ પડી છે.

શ્રીલંકામાં ઉર્જા સંકટ ચરમસીમા પર

રિપોર્ટ અનુસાર, હાલમાં શ્રીલંકામાં 13 કલાકનો પાવર કટ જોવા મળી રહ્યો છે. હાલમાં વિદેશી મુદ્રા ભંડારના અભાવે દેશ ઇંધણની આયાત કરી શકતો નથી. આ સાથે ઉનાળામાં ગરમી વિક્રમી વધારાને કારણે એક તરફ વીજળીની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પાણી ઉત્પન્ન કરતા જળાશયોમાં પાણી એટલુ નીચું પહોંચી ગયું છે કે વીજળીના ઉત્પાદન પર અસર પડી છે.

શ્રીલંકાના ઉર્જા મંત્રીએ કહ્યું કે તેમણે પહેલાથી જ સત્તાવાળાઓને સ્ટ્રીટ લાઇટ બંધ કરવા સૂચના આપી દીધી છે જેથી વીજળી બચાવી શકાય. બીજી તરફ કોલંબો સ્ટોક એક્સચેન્જે પાવર કટના કારણે એક સપ્તાહ માટે ટ્રેડિંગનો સમય 2 કલાક ઘટાડી દીધો છે.

Published On - 11:30 pm, Fri, 6 May 22