પંજાબ નેશનલ બેંકને ચુનો લગાડનાર મામા-ભાણેજ બંને મુસીબતમાં મુકાઇ ગયા છે. પહેલા બ્રિટનની કોર્ટે નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવાનો આદેશ કર્યો તો હવે એંટીગુઆ અને બારબુડાએ તેના મામા મેહુલ ચોક્સીની નાગરીકતા રદ્દ કરી છે. થોડા દિવસો પહેલા ભાગેડૂ મેહુલ ચોક્સીની 14 કરોડની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી. મેહુલ ચોક્સી લાંબા સમયથી એંટીગુઆ અને બારબુડામાં રહે છે. મેહુલ ચોક્સીની સાથે તેનો ભાણેજ નિરવ મોદી પણ 13, 500 કરોડ રૂપિયાથી વધુના ફ્રોડનો મુખ્ય આરોપી છે.
તાજેતરમાં જ બ્રિટનની એક કોર્ટે નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે. જેને લઇને ભારત સરકારે જણાવ્યુ છે કે નીરવ મોદીના પ્રત્યાર્પણને લઇને ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે વાત થશે. હાલમાં કોર્ટે આ મામલો ત્યાંના ગૃહ સચિવને આપ્યો છે. આગળની પ્રક્રિયા તેમની મંજૂરી પર નિર્ભર રહેશે. આ પ્રક્રિયા માટે બે મહિનાનો સમય લાગી શકે છે. વિદેશ મંત્રાલયે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે નીરવ મોદી પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં ભારતમાં વોન્ટેડ છે. સીબીઆઈ અને ઇડીની વિનંતીથી ઓગસ્ટ 2018 માં બ્રિટનમાં તેના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.