HEALTH TIPS : જો તમે શરીરની મેદસ્વીતા દુર કરવા માટે Green Tea પીઓ છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. દરરોજ એક કપ ગ્રીન ટી પીવાથી ત્વચાને જ નહીં વાળને પણ ફાયદો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો આ ગ્રીન ટી ખોટા સમયે પીવામાં આવે છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ? આવો જાણીએ કે ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય અને રીત શું છે.
સવારે ખાલી પેટે ન પીઓ ગ્રીન ટી
જો તમે પણ તમારા શરીરની મેદસ્વીતા દુર કરવા માટે સવારે ખાલી પેટે ગ્રીન ટી પીઓ છો તો જલ્દી જ બંધ કરી દેજો. ગ્રીન ટીમાં એન્ટીઓકિસડન્ટો અને પોલિફેનોલ હોય છે. સવારે ખાલી પેટે પીવાથી શરીરમાં ગેસ્ટ્રિક બોડી એસિડનું ઉત્પાદન વધવાનું શરૂ થાય છે, જેના કારણે વ્યક્તિને પેટની સમસ્યા થઈ શકે છે. સવારે ભૂખ્યા પેટે ગ્રીન ટી પીવા કરતા પહેલા થોડો નાસ્તો કરવો અને ત્યાર બાદ ગ્રીન ટી પીવી.
રાત્રે સુતા પહેલા ન પીઓ ગ્રીન ટી
જો તમે અનિન્દ્રાથી પિડાતા હો તો તમારે રાત્રે સુતા પહેલા ગ્રીન ટી ન પીવી જોઈએ. ગ્રીન ટીમાં રહેલું કેફીન મેલાટોનિન હોર્મોનને છૂટા કરવામાં અવરોધરૂપ બને છે. જેના કારણે સુતા પહેલા ગ્રીન ટી પીવાથી ઊંઘ આવવામાં મોડું થઇ શકે છે.
દવાની સાથે અથવા પછી ગ્રીન ટી ન પીઓ
જો તમે કોઈ દવા લો છો તો તમારે તરત જ દવા સાથે અથવા દવા પીધા પછી તરત જ ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે દવાના ડ્રગમાં હાજર રસાયણો ગ્રીન ટી સાથે પ્રતિક્રિયા આપે છે, જે એસિડિટીનું કારણ બની શકે છે. દવા હંમેશાં સાદા પાણી સાથે જ લેવી જોઈએ.
ભોજન સાથે અથવા ભોજન પછી ન પીઓ ગ્રીન ટી
જો તમને એવું લાગી રહ્યું છે કે જમ્યા પછી ગ્રીન ટી પીવાથી તમારા મેદસ્વીપણામાં ઘટાડો થશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. ભોજન સાથે અથવા ભોજન પછી તરત જ ગ્રીન ટીનું સેવન કરવાથી ખોરાકમાં રહેલા પોષકતત્ત્વોનું પોષણ શરીરને મળતા નથી, જેના કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ થઈ શકે છે. આ વાત યાદ રાખો કે જમ્યા પછી તરત ગ્રીન ટી ન પીવી જોઈએ અને ગ્રીન ટીના સેવનના 1 કલાક પછી જ કંઇક ખાવું જોઈએ.
ગ્રીન ટીનું સેવન કરવાની યોગ્ય રીત
દિવસમાં 3 કપથી વધારે ગ્રીન ટીનું ક્યારેય સેવન ન કરો. આ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે અને વ્યક્તિ શારીરિક નબળાઇનો શિકાર બની શકે છે. ઉપર જણાવેલી સાવધાનીઓને ધ્યાનમાં રાખીને દિવસમાં વધુમાં વધુ 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ.