સમગ્ર વિશ્વમાં વન્યપ્રેમીઓને સ્તબ્ધ કરી દે તે રીતે એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામ ગીરમાં ઘાતક બિમારીથી વનરાજો એક પછી એક મરી રહ્યાં છે. આ બિહામણો સિલસિલો આગળ વધતા મૃત્યુઆંક 23 ઉપર પહોંચ્યો છે. શરૂઆતમાં 11 સિંહ પછી 10 સિંહ અને ગઇકાલે એટલે કે મંગળવારે વધુ બે સિંહના મોતને લઇ આ આંકડો 23 પર પહોંચી ગયો છે. હજુ પાંચ સિંહની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. હજી પણ 28 સિંહો સારવાર હેઠળ છે. આમ છતાં બેદરકાર વનતંત્ર અને મંત્રીઓ ખોટાં નિવેદનો આપતાં હોય ત્યારે ગીરમાં વનરાજો ઉપર ખતરો વધુને વધુ ઘેરો બની રહ્યો છે.
માત્ર દેખાવ કરતા વનતંત્રે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે, ઉપરાંત અમેરિકાથી પણ દવા મંગાવી છે. મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢની સત્તાવાર વિગતો જ ચોંકાવનારા ઘટનાક્રમને બયાન કરી દે છે.
– છેલ્લાં 3 સપ્તાહમાં, 12મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધીમાં દલખાણીયા, જસાધાર રેન્જના 11 સિંહોનાં મોત થયા હતા. જેમાં 7 સિંહોના મૃતદેહ જંગલમાંથી મળેલા, જયારે 4ના સારવાર દરમિયાન મોત થયા હતા.
– 20મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીમાં દલખાણીયા રેન્જમાંથી રેસ્કયૂ કરી 10 સિંહોને લાવવામાં આવેલા જેના મોત થયાની વિગતો જાહેર થઈ છે. કહેવાય છે કે 7 સિંહોના મૃતદેહ જંગલમાંથી કોહવાયેલા મળ્યા છે.
– વનમંત્રી મોડે મોડે ગીર પહોંચ્યા અને જે રીતે 10 સિંહોના મોત પછી મોડે મોડે નિષ્ણાતોની ટીમ બોલાવાઈ ત્યારે જ વન્યપ્રેમીઓ ઉકળી ઉઠયા હતા.વનતંત્રે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે, ઉપરાંત અમેરિકાથી પણ દવા મંગાવી છે.
-11 સિંહોના મોત થયા બાદ વધુ 10 સિંહોના મોત નિપજ્યા ત્યારે ‘ઈનફાઈટ’ને આગળ ધરી વન્ય વિભાગે ત્વરિત પગલા ન લીધા. હવે વાયરસ અને ઈન્ફેકશનના કારણે સિંહોના મોત થયાનું બહાર આવતા તજજ્ઞોને બોલાવી અને વેક્સિનેશનની જાહેરાત થઈ છે.
– ગીરમાં કેટલાક સિંહોની તપાસ કરતી ટીમે જણાવ્યું હતું કે, પૂણેની વાઈરોલોજીના રિપોર્ટ્સ, જૂનાગઢ વેટરનરી કોલેજના રિપોર્ટ્સ તથા સિંહોની બોડી લેંગ્વેજ પરથી અને તેમના ખોરાક વગેરે પરથી ખબર પડી કે કેટલાક સિંહોની રોગ પ્રતિકારક શક્તિ મંદ થઇ હોવાનો સંકેત આપે છે.
– બીજી તરફ વનવિભાગે નબળા સિંહોને અમેરિકી રસી આપવાનો નિર્ણય લેતા સક્કરબાગ ઝૂમાં સિંહ-દિપડામાં સી.ડી.વી. દેખાયા બાદ આ રસી આપનારા ડો.સી.એન.ભુવા આજે મોડેથી વેક્સિનેશનની કામગીરીમાં જોડાયા હતા અને વેટરનરી રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ બરેલીની ટીમ સાથે તેઓએ ચર્ચા કરી હતી.
તો આ તરફ ગીરમાં સિંહોની કુદરતી મારણ શકિત સામે જ પ્રશ્નાર્થ ઊભો થયો છે. સિંહોને બિમાર પશુઓ અને મરઘા ખવડાવાતા હોવાના કારણે બિમાર થઇ રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીથી સિંહોના પ્રાકૃતિક શિકાર સામે ખલેલ સર્જાઈ છે, અને મારણની બિમારી સિંહોને લાગૂ પડી છે.