અકસ્માતથી બચાવતા વારાહી માતા, ભક્તો માતાની સમીપે કરાવે છે નવા વાહનોની પૂજા

પોગલુની માતા વારાહી ‘વાહનરક્ષક’ દેવીના રૂપમાં પૂજાય છે ! ‘વાહનરક્ષક’ એટલે વાહનોની રક્ષા કરનાર અને અકસ્માતથી ઉગારનાર !

અકસ્માતથી બચાવતા વારાહી માતા, ભક્તો માતાની સમીપે કરાવે છે નવા વાહનોની પૂજા
વાહનરક્ષક વારાહી માતા
| Edited By: | Updated on: Jan 29, 2021 | 3:42 PM

સાબરકાંઠાના (Sabarkantha) પ્રાંતિજ તાલુકામાં પોગલુ નામે એક નાનકડું ગામ આવેલું છે. આ ગામ એક દૈવી સ્થાનકને લીધે આખાય ગુજરાતમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ સ્થાનક એટલે માતા વારાહીનું મંદિર. એ મંદિર કે જે શ્રદ્ધાળુઓને સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ તો કરાવે જ છે. પણ, સૌથી ખાસ વાત તો એ છે કે માતા વારાહી અહીં ‘વાહનરક્ષક’ દેવીના રૂપમાં પૂજાય છે ! ‘વાહનરક્ષક’ એટલે વાહનોની રક્ષા કરનાર અને અકસ્માતથી ઉગારનાર !

લગભગ 600 વર્ષ પ્રાચીન આ સ્થાનકમાં માતા વારાહીની અત્યંત દિવ્ય પ્રતિમાનું સ્થાપન થયું છે. પોગલુ ધામમાં માતા વારાહીની આરાધના ‘રક્ષિણી’ના રૂપમાં થાય છે. માન્યતા અનુસાર દેવી તેમના ભક્તોની મનોકામનાઓની પૂર્તિ તો કરે જ છે. પણ, સાથે જ અકસ્માતોથી તેમની રક્ષા પણ કરે છે ! એ જ કારણ છે કે ભક્તો તેમનું નવું વાહન લઈને સીધાં જ માતા વારાહીના દરબારમાં પહોંચે છે. ભક્તો અહીં ખાસ તેમના નવા વાહનને લઈને પૂજાવિધિ કરાવે છે.

સામાન્ય રીતે તો દરેક ઘરમાં નવા વાહનની ખરીદી બાદ તેની પૂજા થતી જ હોય છે. પરંતુ, વારાહીધામમાં તો વિશેષ પૂજાપાઠ સાથે અનુષ્ઠાન પણ થાય છે. વાહનોના વધામણા કરાય છે અને તેને રક્ષાસૂત્ર પણ બંધાય છે. કહે છે સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવું મંદિર હશે કે જ્યાં આ રીતે વાહનો માટે વિશેષ પૂજાનું આયોજન થતું હોય.

પોગલુવાસીઓ માટે તો માતા વારાહી જ તેમના સર્વેસર્વા છે. દેવી અહીં ‘ગામ તોડાની’ માતા તરીકે પણ પૂજાય છે. પ્રચલિત કથા અનુસાર દેવીએ સ્વયં એક ભક્તને સ્વપ્નમાં દર્શન આપી નિર્દેશ કર્યો હતો કે તે ગેગરીના વૃક્ષ નીચે બિરાજમાન છે. ત્યારબાદ તે સ્થાન પર ખોદતા સ્વયંભૂ જ માતાની મૂર્તિ મળી આવી હતી.

વારાહી મંદિરના પરિસરમાં આજે પણ ગેગરીનું તે વૃક્ષ હયાત છે કે જેની નીચેથી માતાનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. મંદિરમાં દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે તે વૃક્ષના પણ દર્શન કરે છે. લગભગ ત્રણ વખત જીર્ણોદ્ધાર બાદ આજે તો પોગલુમાં માતાનું ખૂબ જ ભવ્ય મંદિર શોભી રહ્યું છે. જેમાં દેવી વારાહીની અત્યંત દિવ્ય અને મનોહર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.

માતા વારાહીનું રૂપ કરુણામયી ભાસે છે. અનેક પરિવારોના કુળદેવી હોઈ શ્રદ્ધાળુઓ કોઈપણ શુભકાર્યની શરૂઆત માતાના આશીર્વાદથી જ કરે છે. એમાંય નવા વાહનની ખરીદી બાદ તો ભક્તો ખાસ માતા વારાહીના દર્શન કરવા આવે જ છે. એ પ્રાર્થના સાથે કે મા સદૈવ તેમના પર અમીદૃષ્ટિ રાખે. તેમની અને તેમના વાહનોની રક્ષા કરે અને અકસ્માતથી ઉગારે ! ઉલ્લેખનીય છે કે અહીં વાહનોની પૂજનવિધિ બાદ તમામ સફર નિર્વિઘ્ને પાર પડતી હોવાનું અનેક લોકોએ અનુભવ્યું છે. એટલે જ શ્રદ્ધાળુઓની એવી દ્રઢ માન્યતા છે કે માતા વારાહી ચોક્કસપણે અકસ્માતથી તેમની રક્ષા કરશે જ !

‘શરદપૂર્ણિમા’ એ માતા વારાહીનો પ્રાગટ્યદિન મનાતો હોઈ તે દિવસે અહીં દર્શનનો મહિમા છે. તો, સાથે જ આસો નવરાત્રીની આઠમના રોજ દર્શનનું પણ વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર લક્ષ્મી સ્વરૂપા માતા વારાહી ક્યારેય તેમના ભક્તોને ખાલી હાથે પાછા નથી જવા દેતા.

Follow Us
Loading...
Unable to load recommendations.