VADODARA : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ ડ્રો કૌભાંડ મુદ્દે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પારદર્શી તપાસની ખાતરી આપી છે.ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આરોપીઓના રિમાન્ડ દરમિયાન તમામ મુદ્દાની પૂછપરછ અને તપાસ કરવામાં આવશે અને રિમાન્ડના અંતે જે તથ્ય બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે વડોદરાના મેયરની કામગીરીને વખાણી હતી. તેમણે એમ પણ કહ્યું કે નેતાઓની સંડોવણી એ તપાસનો વિષય છે.
મહત્વનું છે કે, સરકારના વિકાસ દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા 156 હાઉસિંગ મકાનોના ડ્રોની યાદીમાં 42 લાભાર્થીઓના નામ બદલાઇ ગયા હતા..જે મુદ્દે કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા તથા MIS એક્સપર્ટ નિશીથ પીઠવા સામે ગુનો દાખલ કરાયેલો છે.પોલીસે બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.. કોર્ટે બંને આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે.
કોર્પોરેશનની હાઉસિંગ યોજનાના મકાનોના ડ્રો થયા પછી લાભાર્થીઓના નામની યાદી બદલવાના કેસમાં FIR નોંધાઇ હતી.કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા તથા MIS એક્સપર્ટ નિશીથ પીઠવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે MIS એક્સપર્ટ નિશીથ પીઠવા કોન્ટ્રાક્ટ પર હોવાથી તેમને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે.
કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કોઇના દબાણ હેઠળ યાદી બદલી નાખ્યાની કબૂલાત કરી હતી.વડોદરા શહેર પોલીસ કમિશનરે નવાપુરા પોલીસ પાસેથી તપાસ લઇને સમગ્ર કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે.ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ પણ વાંચો : ANAND : કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ આજે આણંદથી 52 કિલોમીટરની જનઆશીર્વાદ યાત્રા કરશે
Published On - 1:41 pm, Sun, 15 August 21