VADODARA : વિદ્યાર્થીકાળમાં પ્રકૃતિ સાથે તાલમેલ કેળવાય તો સર્વાંગીણ વિકાસમાં પણ મદદરૂપ બની રહે. આ ગુરુચાવી અને વિચારધારા ધરાવતા શિક્ષક ડભોઈના વાયદપુરા ગામનાં વિદ્યાર્થીઓના હાથમાં આવી ગયા છે..શાળામાં જવાનું, પ્રકૃતિના તત્વોની વચ્ચે ભણવાનું અને શાળાના આચાર્ય શિક્ષણ સાથે શાકભાજી પકવવાની તાલીમ અને પોષણયુક્ત આહારની પણ સમજ આપે.
ડભોઈના વાયદપૂરા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઇ અંબાલાલ ચૌહાણણે રૂઢિગત શિક્ષણથી અલગ એક અલગ ચીલો ચાતર્યો.વિદ્યાર્થીઓ જે શાળામાં ભણવા આવે તે જ શાળાની બિનઉપયોગી જમીનમાં આચાર્ય નરેન્દ્રભાઈ શાકભાજી પકવે અને તેમાં વિદ્યાર્થીઓની મદદ લે, જેથી તેમનાંમાં પણ ખેતીની આવડત વિકસે. ન માત્ર આવડત પણ કયા શાકભાજીમાંથી કયા ઘટકતત્વો મળે, જેથી શરીરને પોષણ મળે તેની પણ સમજ વિદ્યાર્થીને આપે છે. શાળામાં મધ્યાહન ભોજનમાં એ જ શાકભાજીમાંથી વાનગીઓ બનાવીને આરોગવામાં આવે છે.
હાલ તો કોરોનાનું ગ્રહણ આ ઉમદા પ્રવૃત્તિને લાગ્યું છે, પણ સામાન્ય દિવસો હતા ત્યારે તેઓ 45 તિથિ ભોજનનું આયોજન કરે જેમાં ગામલોકોની પણ ભાગીદારી હોય. કિચન ગાર્ડનમાં ઉગાડવામાં આવેલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બને અને સૌ પ્રેમે જમે.કોરોનાના કપરાંકાળમાં શાળા શિક્ષણ તો બંધ હતું તો તિથિ ભોજનાં સંજોગ પણ ન રહ્યા, પણ નરેન્દ્રભાઈની પ્રવૃત્તિ સતત ચાલતી રહી.તેઓ પકવેલા શાકભાજી બાળકોના ઘરે જઈને આપી આવતા જેથી બાળકોના પોષણમાં કોઈ કમી ન રહે.
આ પણ વાંચો : Teacher’s Day : ભુજના અનોખા શિક્ષક, જેમણે કોરોનાકાળમાં પણ અંતરિયાળ ગામમાં જઈને શિક્ષણ આપ્યું