બે જૂથમાં વહેંચાયેલા હરિધામ સોખડા (Haridham Sokhada) ના સંતોમાં સમાધાન તો થતા થશે, પરંતુ બંને જૂથો વચ્ચે શક્તિ પ્રદર્શનની હોડ પૂરજોશમાં ચાલી રહી છે. પહેલા પ્રેમસ્વરૂપ સ્વામી (Prem Swarup Swami) જૂથે સોખડામાં શક્તિ પ્રદર્શન કર્યું હતું જ્યારે હવે વારો છે પ્રબોધ સ્વામી (Prabodh swami) જૂથનો. પ્રબોધ સ્વામી જૂથે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ગુરૂભક્તિ મહોત્વસનું આયોજન કર્યું છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ હાજરી આપશે. આ સિવાય ગુજરાત સહિત દેશ-વિદેશના સંતો-હરિભક્તો પણ આ સમૈયામાં હાજર રહેશે. પ્રબોધ સ્વામી જૂથના સંતોનો દાવો છે કે આ આયોજન શક્તિ પ્રદર્શન નહીં, યુવાઓને પ્રેરણા માટેનું છે.
આ આયોજનના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ વિભાગે પણ કમર કસી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વપૂર્ણ છે કે દેશ-વિદેશના 70 હજારથી વધુ ભક્તો-હરિભક્તો આ કાર્યક્રમમાં હાજરી આપશે. તો પ્રેમસ્વરૂપ સ્વામી જૂથને પણ આમંત્રણ આપ્યાનો દાવો પ્રબોધ સ્વામી જૂથના સંતોએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત 11 તારીખે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા પણ આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો. હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણી દરમિયાન પ્રેમ સ્વરૂપ સ્વામીને શોલ ઓઢાડી ગાદીપતિ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ પ્રસંગમાં યોગી ડીવાઈન સંસ્થાના જશભાઈએ આ જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કરતાં કહ્યું કે પ્રેમ સ્વામી સૌના હૈયામાં હરી પ્રસાદ સ્વામી તરીકે બિરાજી ગયા છે. હરિપ્રસાદ સ્વામી પ્રેમસ્વામીને આપણને ભેટ સ્વરૂપે સોંપીને ગયા છે. પ્રેમસ્વામીને આપણે ખુશ રાખવાના છે. હરિપ્રસાદ સ્વામીનું ઋણ આપને અદા કરવાનું છે. જેને જે કરવું હોય એ કરે, આપણે ભલા ને આપના સ્વામી ભલા.
ઉલ્લેખનીય છે કે હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ સામસામે આવી ગયાં છે. આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચતાં હાઈકોર્ટે સમાધાનનો રસ્તો અપનાવવા સુચન કર્યું હતું જેના પગલે સમાધાન માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન માટે બે બેઠક થઈ હતી. બેઠકમાં બંને પક્ષો તરફથી હકારાત્મક ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ અંગે વિશેષ ચર્ચા કરાઇ હતી, પરંતુ આ બંને બેઠકમાં સમાધાન થયું નથી.