અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અતી ગંભીર બની રહી હોવાની સાબિતી, સિવીલ હોસ્પિટલમાં લાગેલી 108ની એમ્બ્યુલન્સ વાનની લાઈન આપી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાંથી કોરોનાના દર્દીને લઈને સિવીલ હોસ્પિટલમાં એકઠી થયેલી આ 108 એમ્બ્યુલન્સ વાન કહી આપે છે કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની હાલત વિસ્ફોટક રીતે વધી રહી છે.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પણ ગઈકાલે સ્વીકાર્યુ હતું કે, કોરોનાની સ્થિતિ ગંભિર છે. જેના કારણે અમદાવાદ સહીત રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુ બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓ માટે કરાઈ છે. જો કે સરકારે જે કોઈ વ્યવસ્થા કરી છે તે કોરોનાના દર્દીઓથી ભરાઈ રહી છે અને સરકારે કરેલી વ્યવસ્થા ઓછી પડી રહી છે.
જો કોરોનાનુ સંક્રમણ આ જ રીતે વધતુ રહ્યું તો એક સમયે જેમ વિદેશમાં રોડ પર લોકોને સારવાર આપવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા તે જ પ્રકારના દ્રશ્યો આપણે ત્યા પણ જોવા મળે તો નવાઈ નહી. સરકારી અને ખાનગી હોસ્પિટલોના ખાટલાઓ કોરોનાના દર્દીઓથી ઝડપથી ભરાઈ રહ્યાં છે. જે ઝડપે કોરોનાના દર્દીઓ પોઝીટીવ આવે છે તે જ ઝડપે હોસ્પિટલોમાં દાખલ કોરોનાના પોઝીટીવ દર્દીઓ નેગેટીવ થઈ શકતા નથી પરીણામે જે દર્દી દાખલ થયા છે તે ઓછામં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં દાખલ થતા હોવાથી, અન્ય દર્દીઓને જગ્યાઓના અભાવે દાખલ કરી શકાતા નથી.