SURENDRANAGAR : રબારી સમાજના ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામમાં હોળી મહોત્સવ બંધ રહેશે. મંદિરના મહંત દ્વારા કોરોના મહામારી સામે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. હાલ દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થયો છે. જેને પગલે મંદિર પ્રશાસન દ્વારા હોળી મહોત્સવ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરૂગાદી શ્રી વડવાળા મંદિર -દુધરેજધામમાં આગામી તારીખ ૨૭, ૨૮, ૨૯ માર્ચ, ૨૦૨૧ દરમ્યાન વડવાળા દેવનો પ્રાગટય દિવસ છે. અને તે માટે આ જગ્યાએ હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવના દિવસ દરમ્યાન રાજ્યભરમાંથી રબારી સમાજ તેમજ શ્રધ્ધાળુઓ દર્શને મોટી સંખ્યામાં આવતાં હોય છે.
આ ઉત્સવ દરમ્યાન ચારથી પાંચ દિવસમાં લાખો યાત્રિકો અવર જવર કરે છે. જેના કારણે મંદિર, દુધરેજ ગામમાં,નગરપાલિકા વિસ્તાર તથા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં અડચણ થાય તેવી શક્યતા છે. કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેથી હાલની પરિસ્થિતીને ધ્યાને લેતાં શ્રી વડવાળા મંદિર – દુધરેજધામમાં હોળી ઉત્સવ તારીખ ૨૭, ૨૮, ૨૯ માર્ચ દરમ્યાન પ.પુ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ તેમજ કોઠારી શ્રી મુકુંદરામદાસજી બાપુ તથા પોલીસ વિભાગ સાથે પરામર્શ કરતાં અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા નકકી કરવામાં આવ્યું છે.
જેની સર્વે ભાવિક ભક્તોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ શ્રી વડવાળા મંદિર – દુધરેજધામ ખાતે આવતા પદ યાત્રિક સંઘોને સંઘનું આયોજન ન કરવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.
મંદિરના કોઠારી દ્વારા મુકુંદરામદાસ સ્વામી દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી હતી. જેમાં કોરોનાની વેકસીન લોકો લઈ લે તેનાથી ગભરાવાની જરૂર નથી. અને સરકાર દ્વારા આ રસી આપવામાં રહી છે લોકો સાથ અને સહકાર આપે અને કામ વગર બને ત્યાં સુધી બહાર ન નીકળે તે માટે લોકોને અપીલ કરી હતી.
દરવરસે હોળી નિમિતે આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટે છે. અને, મંદિરમાં હોળી-ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વરસે કોરોનાને પગલે મંદિરમાં હોળી ઉત્સવ કેન્સલ થતા શ્રદ્ધાળુઓમાં થોડી નિરાશા છવાઇ છે. પરંતુ, શ્રધ્ધાળુઓ આ નિર્ણયને યોગ્ય ઠેરવી કોરોના મહામારી જલ્દી ભાગે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.