વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના(VNSGU) કુલપતિ હોય કે પછી કોઇ પણ મોટી કચેરીના અધિકારી, જો તેમની ચેમ્બરના એ.સી (AC) બંધ થઇ જાય તો તુરંત જ રીપેર થઇ જાય છે. પરંતુ યુનિવર્સીટીની લાઇબ્રેરી ( Library ) કે જ્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ બેસીને વાંચન કરે છે. તે કેમ્પસની લાઇબ્રેરીમાં જ તમામ એ.સી બંધ હોવાથી વિદ્યાર્થીઓને વાંચવાની તકલીફો પડી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં જ આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં મોટી સંખ્યામાં પુસ્તકો, જર્નલ અને મેગેઝીન હોવાથી યુનિવર્સીટી અને અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ વાંચન માટે અહીં ખાસ આવતા હોય છે.
જોકે હાલ આ લાઇબ્રેરીને લઇને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ ઇન્ચાર્જ રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે લાઇબ્રેરીના તમામ એ.સી બંધ હાલતમાં છે. જેથી લાઈબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફો આવી રહી છે. ઉનાળાની ગરમીના સમયમાં કુલપતિ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર કે કોઇ પણ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે અધિકારીના જો કેબીનમાં એ.સી બંધ થઇ જાય તો એક દિવસમાં તેને તાત્કાલિક રીપેર કરીને ચાલુ કરી દેવામાં આવે છે. અથવા રીપેરીંગ ન થાય તો નવુ એ.સી પણ ફિટ થઇ જાય છે. તો યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને અન્યાય શા માટે ?કરવામાં આવે છે. તેઓએ એસી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓને તકલીફો પડતી હોય તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માંગ કરાઇ હતી.
યુનિવર્સીટીની લાઈબ્રેરીમાંએક બાજુ વિદ્યાર્થીઓ એ.સી વગર ગરમીમાં શેકાઇ રહ્યા છે. તો બીજી બાજુ કુલપતિની ઓફિસની બહાર વિઝીટીંગ રૂમમાં તેમજ લોબીમાં મોટા મોટા જે એ.સી ફીટ કરવામાં આવ્યા છે. અને કોઇ મુલાકાતી ના હોય તો પણ આ એ.સી. ઓ ચાલુ જ રહેતા હોય છે. આ એ.સી બંધ કરી વિદ્યાર્થીઓના હિતમાં સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે એ.સીની વ્યવસ્થા કરવા સેનેટ સભ્યે માંગ કરી છે.
વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે જયારે પદવી પ્રમાણપત્રની ફી વધારવાની વાત આવે તો વિદ્યાર્થીઓનું હિત જોયા વિના તેમાં તુરંત વધારો કરવામાં આવે છે. પણ જયારે વિદ્યાર્થીઓની સુવિધાની વાત આવે ત્યારે તેના પર ધ્યાન આપવામાં આવતું નથી.