સુરત (Surat) ના કતારગામમાં રહેતા અને હીરા (diamond) ના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે અનાજમાં નાખવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત (death) નિપજ્યું હતુ. રતકલાકારના શેઠે તેના પર 3.50 લાખના હીરાની ચોરીનો આક્ષેપ કરી મહિધરપુરા પોલીસ મથકમાં અરજી કરી હતી. જોકે પોલીસ મથકના પોલીસકર્મી દ્વારા સતત બે દિવસ યુવકને ખોટી રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. અંતે ત્રીજા દિવસે પણ પૈસા નહિ આપે તો માર-મારવામાં આવશે તેવું શેઠ દ્વારા કહેતા રત્નકલાકારે જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારે સિંગણપોર પોલીસ મથકમાં ધરણા કરતા પોલીસકર્મી અને હીરા કારખાનેદાર સામે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જૂની ચાંવડ ગામના વતની અને હાલ કતારગામમાં આવેલ આંબાતલાવડી નજીક અક્ષરધામ સોસાયટીમાં રહેતા મુકેશ કનુ સોજીત્રા નંદુડોશીની વાડીમા આવેલા વિપુલ મોરડિયાના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. થોડા સમય પહેલાં વિપુલની ઓફિસમાંથી 3.50 લાખના હીરા ચોરાયા હતા, જે હીરા મુકેશે ચોરી કર્યા હોવાનો આક્ષેપ કરી વિપુલભાઇ દ્વારા ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. વિપુલભાઇએ તો મહિધરપુરા પોલીસ મથકમાં અરજી પણ કરી હતી. જે અરજીના નામે મહિધરપુરા પોલીસમાં ફરજ બજાવતા પરબત આહિર તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓએ મુકેશને 24 મેના રાત્રે ઘરેથી લઇ ગયા અને ઢોર માર મારી બીજા દિવસે સવારે પરત ઘરે મૂકી ગયા હતા. સતત બીજા દિવસે પણ પોલીસ દ્વારા માર મરાયો હતો. વિપુલના હીરા ચોરીના બદલે બીજા દિવસે સાંજ સુધીમા રૂપિયા 3.50 લાખ આપી દેવા માટે દબાણ કરતા હતા.
વિપુલભાઇએ ત્રીજા દિવસે 26 મે ના રોજ મુકેશને ફોન કરીને પૈસા માંગ્યા હતા. જો તે પૈસા નહિ આપે આજે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ મુકેશભાઇએ તેના પરિવારના અમુક સદસ્યોને પણ કરી હતી. સતત ત્રીજા દિવસે પણ માર ખાવો પડે અને પોલીસ તથા વિપુલભાઇના ત્રાસથી કંટાળીને મુકેશભાઇ સોજીત્રાએ ગુરુવારે બપોરે અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. જોકે ઘટનાની જાણ તેના પત્ની સોનલને થતા તેણી મુકેશભાઇ એક્ટિવા મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. બનાવ અંગે પોલીસે મૃતક મુકેશભાઇના ભાઇ કિશોરભાઇની ફરિયાદને આધારે હીરા વેપારી વિપુલ મોરડિયા અને મહિધરપુરા પોલીસ મથકના પરબત આહિર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મૃતક મુકેશ સોજીત્રાના પરિવારજનો તેને ન્યાય મળે તે હેતુથી શુક્રવારે સવારે સિંગણપોર પોલીસ મથકમાં ધરણા પર બેસી ગયા હતા. જ્યા સુધી વિપુલ અને પરબત આહિર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતક મુકેશનો મૃતદેહ સ્વીકારવાની પરિવાર ના પાડી હતી. અંતે સાંજ સુધીમાં પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા હતા. સાંજે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.