આજે એટલે કે 8મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલ સવારે ઓલપાડ ખાતેના મેગા મેડીકલ કેમ્પના એક કાર્યક્રમમાં આવી રહ્યા છે. જ્યાંથી તેઓ પરત ગાંધીનગર જશે. ત્યારબાદ સાંજે તેઓ ફરી 7.15 કલાકે સ્ટેટ એરક્રાફ્ટ દ્વારા સુરત એરપોર્ટ આવશે. સાંજે 7.30 કલાકે તેઓ એરપોર્ટથી તેઓ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને મહાનુભાવો સાથે સીધા ગણેશ દર્શનયાત્રા શરુ કરશે. શહેરની 8 વિધાનસભા અને મનપાના લગભગ તમામ ઝોનમાં કુલ 12 જેટલા સ્થળે ગણપતિ મંડપોમાં તેઓ દર્શન કરી, શહેરના નાગરીકોની સુખાકારીની પ્રાર્થના સાથે આશીર્વાદ મેળવશે.
કાર્યક્રમ મુજબ તેઓ સૌપ્રથમ મજુરા વિધાનસભા ખાતે ભટાર ટેનામેન્ટ પાસે સાંઈરામ યુવક મંડળના ગણેશજી, અને ત્યારબાદ ભટાર ખાતે જ ઠાકુરજી સેવાસમિતિના ગણેશજીના દર્શન કરશે. ત્યારબાદ, ઉધના વિધાનસભામાં પાંડેસરા રોકડિયા હનુમાન મંદિર પાસે રોકડિયા યુવક મંડળના ગણપતિ મંડપમાં દર્શન માટે પહોંચશે. પાંડેસરા ખાતે જ સાંઈ બાબા સોસાયટીના, શ્રી સાંઈ યુવક મંડળ આયોજિત ગણેશ મંડપમાં દર્શન કર્યા બાદ, લીંબાયત વિધાનસભામાં નવાગામ ડીંડોલી રોડ પર સાંઈ બાબા મંદિર પાસેના અષ્ટ વિનાયક ગણેશ મિત્ર મંડળના ગણેશજીના આશીર્વાદ લેશે. ત્યારબાદ પરવત પાટીયા ખાતે અક્ષર ટાઉનશીપમાં ઉમિયા શક્તિ મંડળના ગણપતિ બાપ્પાના દર્શન કરીને આશીવાર્દ મેળવશે.
તે પછી તેઓ કરંજ વિધાનસભામાં ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સાથે લંબે હનુમાન રોડ પર અરિહંત પાર્કના શિવાય ગ્રુપના ગણપતિના દર્શન કરશે, ત્યારેબાદ કતારગામ વિધાનસભામાં ઝોન ઓફિસની બાજુમાં ગજેરા સ્કૂલની ગલીમાં રોયલ વિંગ્સ ગ્રુપના ગણપતિના દર્શન કરશે, અને ત્યાંથી નીકળીને સુરત ઉત્તર વિધાનસભામાં સાર્વજનિક ગણેશોત્સવ આયોજિત મહીધરપુરા દાળિયા શેરીના પ્રસિદ્ધ શ્રીજીના દર્શન કરીને આશીર્વાદ મેળવશે. તે પછી મુખ્યમંત્રીનો કાફલો સુરત પૂર્વ વિધાનસભામાં આવેલા કૈલાશનગર, સગરામપુરા સ્થિત સુરત શહેર સાંઈ યુવક મંડળના ગણપતિના દર્શન કરશે, અને છેલ્લે પશ્ચિમ વિધાનસભામાં પ્રાઈમ આર્કેડ ની ગલીમાં ગાર્ડન ગ્રુપ અને વાસ્તવ ગ્રુપના ગણપતિના દર્શન કરીને મુખ્યમંત્રી રાત્રે 10.20 કલાકે એરપોર્ટ જવા રવાના થશે.
Published On - 9:31 am, Thu, 8 September 22