નવરાત્રિને(Navratri ) હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરતના(Surat ) કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા બેચરાજી મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે. છેલ્લા 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા કરતા શંભુનાથ નામના મહારાજે રાત્રીના સમયે આપઘાત કરી લીધો હતો. ગળેફાંસો ખાઈને આપઘાત કરનારા મહંતના સમાચાર મળતા ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.
મૂળ નેપાળના શંભુ મહારાજ છેલ્લા 25 વર્ષથી વેડ રોડ સ્થિત શ્રી નાના બેચરાજી મંદિરમાં સેવા પૂજા કરતા હતા. મંદિરમાં જ રહીને માતાજીની પૂજા અર્ચના કરતા મહંતે નવરાત્રી અગાઉ જ માતાજીના મંદિર પરિસરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મહંતના અપઘાતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હાલ આપઘાત અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
મંદિરમાં નિયમિત આવતા નીતાબેન નામના ભાવિકે જણાવ્યું હતું કે, મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા. ખૂબ સેવા પૂજા કરતા હતા 25 વર્ષથી સેવા કરે છે. કંઈ જ અજુગતું થયું હશે એવું લાગે છે. આપઘાત પાછળ શું કારણ હશે એ અમને ખ્યાલ નથી. મહારાજની સેવા અતૂટ હતી. બહુ સેવાકીય પ્રવૃત્તિ કરતા નેપાળના તેઓ વતની હતા. તેમના આપઘાત કરવા પાછળનું કારણ કંઈ સમજાતું નથી. તેઓ એકદમ નિષ્ઠાવાન અને મક્કમ હતા તેમાં શંકા નથી.
અહીંના લોકો તેના સ્વભાવથી ખુશ હતા. આ પગલું તેમણે જાતે ભર્યું હોય તેવો અમને માન્યમાં આવતું નથી. તેનો સ્વભાવ એવો નહોતો કે, તેઓ આપઘાત કરે સેવા સિવાય તેને બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી. છેલ્લા 25 વર્ષથી તેઓ અખંડ સેવા કરતા હતા. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.