Surat: આજે અનલોકના નવા તબક્કામાં સરકાર દ્વારા બાગ બગીચા, જિમ, રેસ્ટોરન્ટ ખોલવાની છૂટ આપી દીધી છે. ત્યારે જનજીવન ફરીવાર પાટે ચડતું નજરે ચડ્યું છે. પણ સુરતમાં એક બાગની અજાયબી જાણશો તો તમે પણ નવાઈ લાગશે.
સુરત મનપા સંચાલિત ચોકબજાર સ્થિત લાલા લજપત રાય ગાર્ડનમાં લોકો નહિ પણ વાહનો જ વાહનો જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે આ ગાર્ડનની બરાબર બાજુમાં જ અઠવા પોલીસ સ્ટેશન આવેલું છે. વિવિધ ગુનાઓમાં ડિટેઇન થયેલા વાહનો જ્યારે પોલીસ કબ્જે કરે છે ત્યારે કોર્ટ મારફતે આ વાહનોનો નિકાલ કરવાનો રહે છે.
પરંતુ અઠવા પોલીસ સ્ટેશન ઘણી સાંકડી જગ્યામાં આવેલું છે. અને ગુનાના કામમાં પકડાયેલા આ વાહનોની સંખ્યા વધી જતાં પોલીસ પાસે બીજે વાહનો મુકવાની વૈકલ્પિક જગ્યા પણ નથી.
વધુમાં છેલ્લા છ મહિના કરતા વધારે સમયથી શહેરના બાગ બગીચા પણ બંધ હતા. તેવામાં પકડાયેલા આ વાહનો જો રોડ પર મુકવા જાય તો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે તેવું હોય પોલીસે આ વાહનોનો ખડકલો ગાર્ડનમાં કરી દીધો છે.
જોકે આમ કરવાથી પોલીસની વાહનો મુકવાની સમસ્યા તો હલ થઈ ગઈ. પરંતુ ગાર્ડનમાં સવાર સાંજ મુલાકાત લેનારા અને કસરત માટે કે લટાર લેવા સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે.
સ્થાનિકોની માંગ છે કે પોલીસ દ્વારા આ વાહનોને ખસેડીને લોકોના માટે ખુલ્લા મુકાયેલા ગાર્ડનને ખાલી કરવામાં આવે. જેથી તેઓ ફરીવાર ગાર્ડનનો ઉપયોગ કરી શકે.
Published On - 7:29 pm, Fri, 11 June 21