આવતીકાલ 19 ઓગસ્ટ શુક્રવારના રોજ જન્માષ્ટમીની(Janmashtami ) ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે કૃષ્ણભક્તોમાં અત્યારથી જ તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોરોનાના (Corona ) બે વર્ષના સમયગાળા બાદ હવે જયારે તહેવારોની રંગત જામી છે, ત્યારે દરેક તહેવારોને અનોખી રીતે ઉજવણી કરીને યાદગાર બનાવવા માટે સૌ કોઈ આતુર દેખાઈ રહ્યા છે. સુરતમાં જન્માષ્ટમીનો ઉત્સવ પણ તેટલા જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે જયારે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે તૈયારીઓ ચાલતી હોય છે, ત્યાં ગોવિંદા મંડળો દ્વારા શહેરની શેરીઓ અને ગલીઓમાં મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.
મુંબઈ બાદ ગુજરાતમાં સુરતમાં મટકીફોડનું આયોજન સૌથી વધારે ધામધૂમથી કરવામાં આવે છે. સુરત શહેરમાં આ વખતે ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ વર્ષની ઉજવણી પણ કંઈ ખાસ બની રહેવાની છે. આમ તો સુરતમાં શેરીઓ અને ગલીઓમાં નાની મોટી મટકીઓ ફોડવામાં આવે જ છે. પણ સૌથો મોટો અને મુખ્ય કાર્યક્રમ સુરતના હાર્દ સમા એવા ભાગળ ચાર રસ્તા પર કરવામાં આવે છે. આ વખતે ગોવિંદા ઉત્સવ સમિતિ ને 25 વર્ષ થતાં ભાગળ ખાતે પ્રથમ વખત 1.25 લાખની સિલ્વર જ્યુબિલી મટકી ફોડવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષની સુરત શહેર ભાગળ ચાર રસ્તા ખાતેની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો લાલ દરવાજા વિસ્તારના શ્રી લાલ દરવાજા બાળ મિત્ર મંડળને ફાળે ગયો છે, જેઓને 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવનાર છે. જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું બાળગણેશ યુવક મંડળ જોડાશે જેઓને 5,100 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવનાર છે. સાથે જ આ વર્ષે જય ભવાની સ્પોર્ટ્સ ક્લબને 50 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે,જેઓને પણ 11,000 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.
ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે અત્યાર સુધી 128 ગોવિંદામંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે 13 ગોવિંદા મંડળો નો વધારો થયો છે જેથી હમણાં સુધી 141 ગોવિંદા મંડળ નોંધાયા છે. જેથી આ વર્ષે લોકોમાં ઉત્સાહ પણ ઘણો વધારે જોવા મળી રહ્યો છે.