Surat : પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમના અચ્છે દિન આવ્યા, કોરોના મહામારીના બે વર્ષ બાદ આવકમાં વધારો

ચાલુ વર્ષે ઉનાળુ વેકેશન (Vacation ) દરમ્યાન સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં 1.40 લાખ મુલાકાતીઓ થકી મનપાને 65 લાખની આવક થવા પામી છે.

Surat : પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમના અચ્છે દિન આવ્યા, કોરોના મહામારીના બે વર્ષ બાદ આવકમાં વધારો
Zoo and Aquarium in Surat (File Image )
| Edited By: | Updated on: Jun 17, 2022 | 9:01 AM

કોરોના(Corona ) મહામારી બાદ શહેરના પ્રાણી સંગ્રહાલય(Zoo ) અને એક્વેરિયમના(Aquarium )  અચ્છે દિન પરત ફર્યા છે. છેલ્લા બે વર્ષ સુધી કોરોના મહામારીને પગલે લોકડાઉન અને સખ્ત નીતિ – નિયમોને પગલે આ બન્ને પ્રોજેક્ટો મહાનગર પાલિકા માટે ધોળા હાથી સાબિત થઈ રહ્યા હતા. પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમમાં મુલાકાતીઓના અભાવે છેલ્લા બે વર્ષથી મહાનગર પાલિકને આ બન્ને પ્રોજેક્ટ થકી આવક તો દૂર નિભાવ ખર્ચ કાઢવા માટે ગાંઠના ગોપી ચંદન કરવા પડી રહ્યા હતા. જોકે, ચાલુ વર્ષે વેકેશનમાં આ બન્ને સ્થળોએ મુલાકાતીઓ ઉભરાતા હવે દ્રશ્ય બદલાઈ ચુક્યું છે. વેકેશન દરમ્યાન પ્રાણી સંગ્રહાલયને 65 લાખની જ્યારે એક્વેરિયમમાં 55 લાખની આવક ચોપડે નોંધાઈ છે.

છેલ્લા બે વર્ષથી સુરત મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય અને એક્વેરિયમમાં મુલાકાતીઓના અભાવે કાગડા ઉડતા નજરે પડ્યા હતા. લોકડાઉન ખુલ્યા બાદ પણ મહત્તમ 100 મુલાકાતીઓના પ્રવેશની ગાઈડ લાઈન અને સખ્ત નીતિ-નિયમોની સીધી અસર આવક પર જોવા મળી હતી. એક તબક્કે પ્રાણી સંગ્રહાલયમાં વર્ષે દહાડે 2.30 કરોડ જ્યારે એકવેરિયમની આવક 2.50 કરોડ નોંધાઈ હતી તે છેલ્લા બે વર્ષમાં ઘટીને 40થી 60 લાખ સુધી પહોંચી જવા પામી હતી. આવકમાં ધરમખ ઘટાડાને પગલે આ બન્ને પ્રોજેક્ટો થકી આવક તો દુર નિભાવ ખર્ચ પણ મહાનગર પાલિકાએ ખિસ્સામાંથી કાઢવાની નોબત આવી હતી.

જોકે, છેલ્લા બે – અઢી મહિનામાં ચિત્ર બદલાઈ ચુક્યું છે અને ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમ્યાન સુરતીઓનો ઘસારો ઝુ અને એક્વેરિયમ પર જોવા મળતા આવક પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ઉનાળુ વેકેશન દરમ્યાન સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં 1.40 લાખ મુલાકાતીઓ થકી મનપાને 65 લાખની આવક થવા પામી છે જ્યારે આ જ સમયગાળા દરમ્યાન એક્વેરિયમ ખાતે 65 હજારથી વધારે મુલાકાતી નોંધાયા છે અને 55 લાખની આવક જોવા મળી છે. આમ, છેલ્લા બે વર્ષ દરમ્યાન જેટલી આવક માત્ર ઉનાળુ વેકેશનમાં જ થઈ જતાં વહીવટી તંત્રે પણ હાશકારો લીધો છે.

ઝૂ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી દરમ્યાન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ઝુમાં 49 જેટલી પ્રજાતિના 500 જેટલા પ્રાણીઓમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે લોકડાઉનના પ્રારંભ સાથે જ પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા સેનિટાઈઝેશન સહિત સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી ગાઈડ લાઈનનો સખ્ત અમલ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે.