સુરત (Surat) અને ઉધના રેલવે સ્ટેશન (railway station) પર નવનિર્મિત પ્લેટમ ફોર્મ અને એસ્કેલેટર સહિત સીસીટીવી કેમેરા અને કોચ ગાઈડન્સ સિસ્ટમ સહિત ગંગાધરા ખાતે નવા પાર્સલ ટર્મિલનના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય રેલવે અને કાપડ મંત્રી દર્શના જરદોશ સહિત પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલ, સાંસદ પ્રભુ વસાવા સહિત વેસ્ટર્ન રેલવેના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરત શહેરથી અત્યાર સુધી 100થી વધુ પાર્સલ માટે અલાયદી ટ્રેનો (trains) દોડાવવામાં આવી છે. કોરોના મહામારી દરમ્યાન રેલવે વેપારીઓ માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ છે. આઝાદી બાદ પહેલી વખત માત્ર રેલવે માટે કેન્દ્રીય બજેટમાં 1.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેના થકી આગામી વર્ષોમાં ભારતીય રેલ વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રચર ધરાવતું બનશે.
નવસારી નજીક આવેલ અમલસાડથી ચીકુ માટેની એક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને જેના થકી ખેડૂતોને તેઓના ચીકુનો પાક ખરાબ થાય તે પહેલા જ નિશ્ચિત સ્થળે પહોંચવામાં રેલવે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. અત્યાર સુધી 180 જેટલી ચીકુ માટેની સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી છે અને જેનો સીધો લાભ ખેડૂતોને મલવા પામ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, સુરત અને ઉધના રેલવે સ્ટેશનના વિકાસ માટે છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. દર્શનાબેન રેલવે મંત્રી બન્યા બાદ વિકાસના કાર્યોમાં ખુબ જ ઝડપ આવી છે.
આજે ઉધના ખાતે જે ફુટ ઓવર બ્રીજ અને એસ્કેલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી માત્ર મુસાફરો જ નહીં બાળકો અને વૃદ્ધોને પણ ખુબ જ રાહત થશે. દેશ- દુનિયામાં ટેક્સટાઈ નગરી તરીકે આગવી ઓળખ મેળવનાર સુરત શહેરના કાપડ ઉદ્યોગના હિતને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા અલાયદી ટેક્સટાઈલ પાર્સલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. જેના થકી વેપારીઓને લાભની સાથે – સાથે રેલવેને પણ આવકનો સ્ત્રોત મળવા પામ્યો છે. આજે સુરત ખાતેથી 100મી ટેક્સટાઈલ ટ્રેન દોડાવવામાં આવી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના ભારણને ધ્યાને રાખીને હવે ઉધના રેલવે સ્ટેશનને વિકલ્પ તરીકે સ્વીકાર કરવો જોઈએ. આ સંદર્ભે સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સુરતથી મુંબઈ અપડાઉન કરનારા સેંકડો નાગરિકો માટે આર્શીવાદ રૂપ ફ્લાઈંગ રાણી ટ્રેન જો ઉધનાથી શરૂ કરવામાં આવે તો પણ લોકોને મહત્તમ લાભ મળી શકે છે. આ સિવાય જલગાંવ લાઈનની ટ્રેનો પણ ઉધના સ્ટેશનથી શરૂ કરવામાં આવે તો સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના ભારણમાં ઘટાડો થઈ શકે છે.
દેશભરના અલગ – અલગ રાજ્યોમાં વિશેષતા ધરાવતી વસ્તુઓ માટે વન પ્રોડક્ટ – વન સ્ટેશન યોજના થકી કનેક્ટિવીટીનું આયોજન હાથ ધરવામાં આવશે.