Surat : નેશનલ મેયર્સ કોન્ફરન્સમાં મેયર હેમાલી બોઘાવાલાએ સુરતના વિકાસનો રોડમેપ રજૂ કર્યો

સુરતના મેયર દ્વારા શહેરની વિકાસગાથાને મેયર કોન્ફ્રન્સમાં રજૂ કરીને સુરતનું ગૌરવ વધારવામાં તક પ્રાપ્ત થઇ હતી. નોંધનીય છે કે આ કોન્ફ્રન્સમાં પીએમ મોદી દ્વારા દેશભરના ભાજપ શાસિત 121 શહેરોના મેયરોને કેટલાક દિશા સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

Surat : નેશનલ મેયર્સ કોન્ફરન્સમાં મેયર હેમાલી બોઘાવાલાએ સુરતના વિકાસનો રોડમેપ રજૂ કર્યો
Mayor Hemali Boghawala (File Image )
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:42 AM

અમદાવાદ (Ahmedabad )ખાતે આયોજિત દેશના ભાજપ શાસિત મહાનગરપાલિકાના મેયરની(Mayor ) બે દિવસીય નેશનલ મેયર્સ કોન્ફરન્સનું સમાપન થયું છે. દેશભરમાંથી આ બે દિવસીય કાર્યક્રમમાં 121 થી વધુ મેયર અને ડેપ્યુટી મેયરે ભાગ લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 20મી સપ્ટેમ્બરે આ નેશનલ મેયર્સ કોન્ફરન્સનું ડિજિટલી ઉદઘાટન કર્યું હતું અને વડા પ્રધાન મોદીએ આ કોન્ફરન્સને આગામી 25 વર્ષ દરમિયાન ભારતના શહેરી વિકાસનો રોડમેપ બનાવવામાં મદદરૂપ થશે તેવો આશાવાદ પણ સેવ્યો હતો.

બે દિવસીય આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરી અને મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતાં. કાર્યક્રમના અંતિમ દિવસે સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાલા દ્વારા સ્માર્ટ સીટી સુરતની વિશિષ્ટ કામગીરીઓ અને વિવિધ પ્રકલ્પો અને ભાવિ આયોજન અંતર્ગત સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફ્યુચરિસ્ટિક ગ્લોબલ સુરત સીટી : એક મીની ભારત વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

જેમાં ગ્રીન એનર્જી કોન્સેપ્ટ હેઠળ મહાનગરપાલિકા દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જા હેઠળ સસ્ટેનેબલ સીટી તરીકે કરવામાં આવતી કામગીરી, હેરિટેજ કન્ઝર્વેશન પ્રોજેક્ટ હેઠળ ઐતિહાસિક કિલ્લાના રિસ્ટોરેશન, ટીટીપી પ્લાન્ટ તથા અરબલ મોબિલિટી હેઠળ જાહેર પરિવહનની સુવિધા, બ્રિજ તેમજ ફ્લાયઓવર બ્રિજો અંગેની વિગતો રજૂ કરી હતી.

સુરત શહેર સહીત ગણતરીના શહેરોના મેયરોને જ વિશિષ્ટ કામગીરી બદલ પ્રેઝન્ટેશનની તક આપવામાં આવી હતી. આમ, સુરતના મેયર દ્વારા શહેરની વિકાસગાથાને મેયર કોન્ફ્રન્સમાં રજૂ કરીને સુરતનું ગૌરવ વધારવામાં તક પ્રાપ્ત થઇ હતી. નોંધનીય છે કે આ કોન્ફ્રન્સમાં પીએમ મોદી દ્વારા દેશભરના ભાજપ શાસિત 121 શહેરોના મેયરોને કેટલાક દિશા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જેમાં તેઓએ મેયરને લોકલ લેવલ પર પણ વિકાસના કામો કરીને શહેરીજનોને સુખાકારીની સેવા આપવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.