Surat: કોરોનાની(Corona) બીજી લહેર શાંત થયા બાદ સરકારે ધોરણ 9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે. પરંતુ પ્રિ સ્કૂલો(Pre School) છેલ્લા દોઢ વર્ષથી બંધ હોવાના કારણે સંચાલકોને ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો છે. સુરત સહિત ગુજરાતની પ્રિ સ્કૂલોમાં 60થી 70 ટકા પ્રિ સ્કૂલ પર તો તાળા લાગી ચુક્યા છે. જેના કારણે પણ હજારો લોકો બેરોજગાર થયા છે.
સુરતમાં માર્ચ 2020માં કોરોનાએ દસ્તક આપતા સરકારે અગમચેતીના ભાગરૂપે સૌથી પહેલા સ્કૂલ અને કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવી હતી. પહેલી લહેરમાં ઓછામાં ઓછા આઠ મહિના પછી ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપી હતી. તે સમયે પણ પ્રિ સ્કૂલો દ્વારા વર્ગો શરૂ કરવા માંગ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પરવાનગી મળી ન હતી.
હવે બીજી લહેર કાબુમાં આવી ચુકી છે અને સરકાર તબક્કાવાર રીતે ઓફલાઈન વર્ગોને મંજૂરી આપી રહી છે. પરંતુ પ્રિ સ્કૂલોને લઈને હજી પણ કોઈ નિષ્કર્ષ બહાર નથી આવ્યું. તેવામાં પ્રિ સ્કૂલ લગભગ બે વર્ષથી બંધ છે. તેની અસર એ થઈ છે કે પ્રિસ્કૂલના સંચાલકોને ખર્ચ અને ભાડું નહીં પોષાતા સ્કૂલોને તાળા મારવા પડી રહ્યા છે. ત્રીજી લહેરની આશંકાને કારણે હજી તેમને કોઈ આશા નથી દેખાઈ રહી.
એકલા સુરતની જ વાત કરીએ તો પ્રિ સ્કૂલ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે સુરતમાં કોરોના પહેલા 400 કરતા વધારે સ્કૂલો એસોસિએશનમાં હતી અને હવે બે વર્ષ પછી આંકડા પ્રમાણે જોવા જઈએ તો 70 ટકા સ્કૂલોને તાળા લાગી ચુક્યા છે. સુરતમાં પ્રિ સ્કૂલો થકી 10 હજાર લોકોને રોજગારી મળતી હતી. સમગ્ર ગુજરાતમાં તેની સંખ્યા અંદાજે દોઢ લાખ જેટલી છે. જેમાંથી ઓછામાં ઓછા 50 હજાર શિક્ષકો અને સ્ટાફ બેરોજગાર થઈ ગયા છે. કારણ કે સંચાલકોએ આર્થિક ભારણ ઘટાડવા સ્ટાફ ઓછો કરી દીધો છે. જેમાં ખાસ કરીને મહિલાઓ સામેલ છે.
સુરતમાં પ્રિ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ જય લીલાવાળાના જણાવ્યા પ્રમાણે પ્રિ સ્કૂલ ખોલવાની પરવાનગી નહીં મળતા આ સેકટરને ઓછામાં ઓછું 200 કરોડનું નુકશાન થયું છે. હજારો લોકોની નોકરી જતી રહી છે. બીજા કાર્યક્રમોમાં તો બાળકો જઈ જ રહ્યા છે તો તેમને પણ શાળાઓ ખોલવા મંજૂરી આપવી જોઈએ.
આ પણ વાંચો: Surat : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત, કહ્યું સરકાર માંગણીઓ પૂર્ણ કરે
Published On - 6:56 pm, Mon, 9 August 21