દિલ્હી(Delhi ) ખાતે આમ આદમી પાર્ટીના(AAP) મંત્રી દ્વારા હિન્દુ દેવી દેવતાઓ માટે નિવેદન કરવામાં આવ્યું હતું. જોકે તે બાદ તેના પડઘા હજી પણ સુરતમાં(Surat ) પડી રહ્યા છે. સુરતમાં છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટી વિરોધી બેનર હોર્ડિંગ્સ લાગ્યા બાદ રવિવારે ગોડાદરા વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આપના નેતાઓ સામે ઉગ્ર પ્રદર્શન બાદ અચાનક કેટલાક લોકોએ આમ આદમી પાર્ટી ની ઓફિસ સામે દેખાવો કરીને તોડફોડ કરી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો છે.
આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા દિલ્હી ખાતેના એક સંમેલનમાં હિન્દુ દેવી દેવતાઓ અંગે કરેલી ટિપ્પણી કરવામાં આવી હતી. જોકે સામી ચુંટણીએ આ નિવેદન આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. આપ ના વધતા જતા પ્રભાવ વચ્ચે આ ધાર્મિક ટિપ્પણીથી અનેક લોકોની લાગણી ને ઠેસ પહોંચી છે. તો બીજી તરફ છેલ્લા બે દિવસથી સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં કેજરીવાલ વિરોધી બેનર જોવા મળ્યા હતા.
આ પોસ્ટરોમાં કેજરીવાલ અને આપ પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિવાદોની વચ્ચે સુરતના ગોડાદરા વિસ્તારમાં કેટલાક હિન્દુ સંગઠન દ્વારા આપના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપ ના મંત્રીના નિવેદનનો ઉગ્ર રીતે વિરોધ કરવામા આવ્યો હતો. ભગવાનને માનતા નથી તો લોકો પાસે વોટ કેવી રીતે માગો છો, આ ઉપરાંત અમારી આસ્થા સાથે રમત રમવામાં આવે છે તે સહન નહીં કરવામા આવે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ અચાનક જ ગોડાદરાના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલા આમ આદમી પાર્ટી ના કાર્યાલય ના બેનરને તોડીને ગુસ્સો કાઢવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ દ્વારા બેનર ફાડી ને સળગાવી દેવામાં આવ્યું હતું જેના કારણે થોડા સમય માટે અહીં દોડધામ થઇ ગઇ હતી. આ ઉગ્ર વિરોધના કારણે આસપાસના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ થઇ ગયો હતો. આ વિરોધ બાદ આગામી દિવસોમાં હવે આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.