Surat: સીઝનના પહેલાં ધમાકેદાર વરસાદે સુરતના રસ્તાઓની બગાડી સૂરત, ઠેર ઠેર ખાડા પડયા

એક જ દિવસમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે

Surat: સીઝનના પહેલાં ધમાકેદાર વરસાદે સુરતના રસ્તાઓની બગાડી સૂરત, ઠેર ઠેર ખાડા પડયા
સીઝનના પહેલા વરસાદમાં જ શહેરના માર્ગો પર ખાડાઓ પડી ગયા
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:56 AM

Surat: સુરતમાં(surat) રવિવારે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા સમયથી સુરતીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેવો વરસાદ (rain) મન ભરીને વરસ્યો હતો. શહેરીજનોને ભારે બફારા અને ઉકળાટથી રાહત મળી હતી ત્યાં બીજી તરફ આ વરસાદ વાહનચાલકો માટે મુસીબત પણ લઈને આવ્યો હતો. રવિવારે વરસેલા દેમાર વરસાદથી રસ્તાઓની (roads) હાલત કફોડી થઇ ગઈ હતી.

સીઝનના પહેલા વરસાદમાં જ શહેરના માર્ગો પર ખાડા(Pothole)ઓ પડી ગયા હતા. શહેરના ઉધના દરવાજા, સહારા દરવાજા, ખટોદરા, ખરવરનગર બીઆરટીએસ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે ચડતા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. રસ્તા પર ખાડા શોધવા કે ખાડામાં રસ્તો શોધવો તેની મૂંઝવણ એક સમયે વાહનચાલકોએ અનુભવી હતી.

જોકે વરસાદ બાદના આવા દ્રશ્યો કોઈ નવા નથી. કારણ કે સાંબેલાધાર વરસાદ વર્ષે તે પછી દરેક માર્ગોની હાલત આવી થઇ જતી હોય છે. પણ જયારે વરસાદ પોરો ખાય ત્યારે પણ રસ્તાના રીપેર કામ પાછળ વેઠ જ ઉતારવામાં આવતી હોય છે. માત્ર કપચી કે ડામર વડે લીપાપોતી કરીને થીંગડા મારી દેવામાં આવતા હોય છે જેના કારણે સ્થિતિ જૈસે થે વૈસે ની બની રહે છે.

રસ્તા પર ખાડા શોધવા કે ખાડામાં રસ્તો શોધવો વાહન ચાલકોને તેવી મૂંઝવણ

હાલ એક જ દિવસમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં શહેરીજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. આવા રસ્તાઓ પર વાહન ચલાવીને ઘણા બનાવો બનતા હોય છે અથવા તો લોકોના વાહનોને પણ નુકશાન પહોંચતું હોય છે.

સ્થાનિક શૈલેષ પટેલનું કહેવું છે કે અમારે દરરોજ આ રસ્તા પર અવરજવર કરવી પડે છે. હાલ કોમસના પહેલા ઝાપટામાં જ રસ્તાની હાલ આવી થઇ ગઈ છે હવે તે ક્યારે રીપેર થશે તેની અમને ખબર નથી.

અન્ય એક વાહનચાલક વિજય પાનસુરીયા કહે છે કે અમારા વાહનોને પણ આ ખાડાથી નુકશાન થાય છે. અને આવા રસ્તા પર અમને અકસ્માત થવાનો પણ ભય રહેલો છે. તેઓ ઉમેરે છે કે જયારે નેતાઓ આવવાના હોય છે ત્યારે રસ્તાઓનું તાત્કાલિક રીપેર કામ કરી દેવામાં આવે છે. ત્યારે વરસાદ વિરામ લે ત્યારે પાલિકા તંત્રે પણ તાકીદે રસ્તાનું રીપેર કામ હાથ ધરવું જોઈએ. જેથી વાહનચાલકોને હેરાન થવાનો વારો ન આવે.

આ પણ વાંચો: Indian Idol 12: દિલીપ કુમારને યાદ કરતા આંખો થઈ ભીની, જાણો ધર્મેન્દ્રએ શું કહ્યું સાયરા અને દિલીપ વિશે?