SURAT શહેરમાં બનેલી કરુણ ઘટના તક્ષશિલા અગ્નિકાંડ હજુ કોઈ ભૂલ્યું નથી. સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં તા. 24મી મે 2018ના રોજ ફાટી નીકળેલી આગમાં 22 માસુમ બાળકો મોતને ભેટ્યા હતા.તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા. એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી.
આ ભયાનક અગ્નિકાંડને 20 મહિના વિતી ગયા છે. છતાં મૃતકના પરિવારજનોને ન્યાય મળ્યો નથી..22 માસુમના જે અગ્નિકાંડે ભોગ લીધા, તેમના પરિવારજનો હજુ અશ્રુભીની આંખે ન્યાયની આશા સેવીને બેઠા છે, અને હવે ધીરજ ખુટતા સરકાર સામે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાતા પરિવારજનો નારાજ છે. આ તમામ 22 મૃતકોના પરિવારજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.