ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તબક્કાવાર કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે ત્યારે કોરોનાને કાબુમાં રાખવા વહીવટીતંત્ર અવનવા ફતવા બહાર પાડીને પ્રજાને સજા ફટકારી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે, વહીવટીતંત્રે કોઈને શેહ શરમમાં આવ્યા વિના કડકાઈથી પગલા ભર્યા હોત તો આજે કોરોનાના કેસની આ સ્થિતિ સામે ના આવી હોત તેમ લોકોનું માનવુ છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ, સુરત શહેરમાં નોધાયા છે. સુરતમાં રાજકીયપક્ષો સામે વામણુ પુરવાર થયેલ તંત્ર હવે અવનવા આદેશ બહાર પાડીને સુરતીઓને બાનમાં લઈ રહ્યું છે. સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. ટ્યુશન ક્લાસીસમાં ઓનલાઈન ટ્યુશન આપવા, પરપ્રાંતમાંથી આવનારે ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવા, થિયેટર, જીમ, કલબ, સ્પોર્ટસ કલબ, ગેમ ઝોન, હોટલના બેન્કવેટ હોલ વગેરે બંધ રાખવાનો ફતવો બહાર પડ્યો છે. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ દ્વારા રોજીંદા 2 લાખ લોકો મુસાફરી કરે છે. સુરતમાં 575 સીટી બસ અને 166 બીઆરટીએસ બસના પૈડાં આજથી થંભી જતા, આ બધા હાલ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.